દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં કોરોનાના 752 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન, 305 લોકો કોરોના ચેપથી મુક્ત થયા. ચિંતાજનક વાત એ છે કે છેલ્લા સાત દિવસમાં કોરોનાને કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં મહારાષ્ટ્રના ચાર, કેરળના બે અને કર્ણાટકનાં એક વ્યક્તિનો સમાવેશ થાય છે. નવા કેસોની વાત કરીએ તો, છેલ્લા એક અઠવાડિયામાં (19 મે પછી), કેરળમાં સૌથી વધુ 335, મહારાષ્ટ્રમાં 153, દિલ્હીમાં 99, ગુજરાતમાં 76 અને કર્ણાટકમાં 34 કેસ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 26 મેના રોજ સવારે 8:00 વાગ્યે દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 1009 છે.
કેરળમાં સૌથી વધુ 403 કોરોના કેસ નોંધાયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 209 અને દિલ્હીમાં 104 કેસ નોંધાયા છે. આ શહેરો પછી ગુજરાતનો નંબર આવે છે, જ્યાં 83 કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 47, ઉત્તર પ્રદેશમાં 15 અને પશ્ચિમ બંગાળમાં 12 કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારની એજન્સી ઇન્ડિયન SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (Insacog) ના તાજેતરના ડેટા અનુસાર, નવા કોરોના ચેપમાં વધારા વચ્ચે બે નવા પ્રકારોના કેસ નોંધાયા છે.






