Ahmedabad Labor Case : અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળ આવેલી વર્ધમાન ડેવલપર્સની સ્કીમમાં બાંધકામ દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બે શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
બે શ્રમિકોના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સ્કીમમાં સવારે અંદાજે 10થી 11 વાગ્યાની વચ્ચે સેન્ટીંગ પાટ બાંધવાનું કામ ચાલી રહ્યું હતું. બાંધકામ દરમિયાન ચોથા માળે પાલક ઉપર ત્રણ શ્રમિકો કામ કરી રહ્યા હતા, તે સમયે અચાનક સંતુલન બગડતાં ત્રણેય શ્રમિકો ઉપરથી નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક શ્રમિકને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દુઃખદ બાબત એ છે કે સવારે બનેલી આ ગંભીર ઘટના સાંજ સુધી પોલીસથી છુપાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે બાંધકામ સાઈટની સુરક્ષા વ્યવસ્થા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
પોલીસ તપાસ હાથધરી
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા દુર્ઘટનાના કારણો, બાંધકામની સુરક્ષા વ્યવસ્થા અને જવાબદાર લોકોની ભૂમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ અમદાવાદ શહેરમાં બાંધકામ સાઈટ પર શ્રમિકોની સલામતી અંગે ફરી એકવાર ચિંતા જગાવી છે. યોગ્ય સુરક્ષા સાધનો અને નિયમોના અભાવે શ્રમિકોને જીવ ગુમાવવો પડે છે તે બાબતે તંત્રની બેદરકારી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.






