અમદાવાદમાં વધતા વાયુ પ્રદૂષણ અને AQI મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, શહેરી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી અને શુદ્ધ હવા આપવાની પ્રાથમિક જવાબદારી સરકારની છે, પરંતુ અમદાવાદ મેગાસિટીમાં હવાનું પ્રદૂષણ સતત વધતું જઈ રહ્યું છે.
'અમદાવાદમાં AQI જોખમ વાળી સપાટીએ પહોંચ્યો'
તેમના જણાવ્યા મુજબ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) જોખમ વાળી સપાટીએ પહોંચે છે, છતાં શાસકો કોઈ અસરકારક પગલાં લેતા નથી. AQI સુધારવા માટે વ્યાપક આયોજન કરવાની જગ્યાએ માપદંડોમાં ચેડાં કરવામાં આવે છે એવો આક્ષેપ પણ તેમણે કર્યો. ડૉ. દોશીના કહેવા મુજબ AQI માપવાના સાધનોની આજુબાજુ પાણીનો છંટકાવ કરીને વાસ્તવિક આંકડા બહાર ન આવે તેવો ખેલ કરવામાં આવે છે, જે ગંભીર બાબત છે.
'લોકોને ફેફસાં અને શ્વાસોચ્છ્વાસ સંબંધિત રોગો થઈ રહ્યા છે'
તેમણે આ પ્રકારની હરકતોને પ્રજાની સાથે વિશ્વાસઘાત ગણાવી જણાવ્યું કે આ માનવ જીવન સાથેનો સીધો ખેલ છે. શહેરની પ્રદૂષિત હવાના કારણે અનેક લોકોને ફેફસાં અને શ્વાસોચ્છ્વાસ સંબંધિત રોગો થઈ રહ્યા છે અને આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ડૉ. દોશીએ ટેક્સ પેયર નાગરિકોને જાગૃત થવા અને જવાબદારી ન નિભાવનાર શાસકોને જવાબ આપવા આહ્વાન કર્યું.




















