AAdivasi Ekta: ATVTની સમિતિમાં લાફાકાંડ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સમિતિના અધ્યક્ષે પોતાને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હોવાનો ધારાસભ્ય પર આરોપ લગાવ્યો છે. અને તે અંગેની પોલીસ ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, કોર્ટે પોલીસ રિમાંડ નામંજૂર કરતા ચૈતર વસાવાને મોટી રાહત મળી છે. ત્યારે હવે ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય ઉતર્યા છે. આ પહેલીવાર નથી કે આપના ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલ દોસ્તી નિભાવતા જોવા મળ્યા હોય. આ પહેલાં પણ બે અલગ-અલગ પાર્ટીના ધારાસભ્યો આદિવાસી એકતા મુદ્દે એક જોવા મળ્યાં છે.
કેજરીવાલે કોંગ્રેસ સાથે છૂટાછેડા કરાવ્યાં, પણ ગુજરાતમાં જોર પકડી રહી છે આદિવાસી એકતા:
ઉલ્લેખનીય છેકે, આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે હાલમાં ગુજરાત પ્રવાસ દરમિયાન જાહેરાત કરી હતીકે, હવે AAP અને કોંગ્રેસ વચ્ચે કોઈ ગઠબંધન નથી. આમ આદમી પાર્ટી હવે કોઈની સાથે ગઠબંધન કરશે નહીં અને એકલાં હાથે ચૂંટણી લડશે. આ રીતે કોંગ્રેસ સાથે છૂટાછેડા બાદ આદિવાસી એકતા મુદ્દે હવે ફરી એકવાર બન્ને પક્ષના ધારાસભ્યો એક થઈ ગયા છે. હવે વાત પાર્ટી પુરતી સિમિત રહી નથી. બલકે હવે આદિવાસી એકતાનો મુદ્દે જોર પકડી રહ્યો છે. કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ખુલીને સામે આવીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું સમર્થન કર્યું છે. એટલું જ નહીં અંનત પટેલે કોંગ્રેસ પાર્ટી શું કહેશે તેની પરવાહ કર્યા વિના ચૈતર વસાવા માટે જનઆક્રોશ યાત્રા કાઢવાની પણ તૈયારી દર્શાવી દીધી છે.
ચૈતર વસાવા મુદ્દે હવે AAPના સમર્થનમાં ઉતરી કોંગ્રેસ!
ધારાસભ્ય ચૈતર વસાવા વસાવાના સમર્થનમાં આવ્યા વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યુંછેકે, ભાજપ સરકારે સત્તાનો દૂરોપયોગ કરીને ગેરકાયદે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી છે. ભાજપ પાસે આવવા ઘણા ચીટરો છે જેમની ધરપકડ થતી નથી અને ધારાસભ્યની ધરપકડ કરવામાં આવે છે, આદિવાસી નેતાઓ અને ધારાસભ્યો ભાજપની કઠપૂતળી બની ગયા છે. બીજીવાર ટિકિટ ન મળે એવી બીક ના કારણે કંઈ પણ બોલતા નથી. પરંતુ જો ચૈતર વસાવા સાથે અન્યાય થશે તો અમે ન્યાય યાત્રા જેવા આંદોલન કરતાં પણ અટકીશું નહીં. આદિવાસી એકતા સંદર્ભે અમે ચૈતર વસાવા માટે જનઆક્રોશ યાત્રા કાઢીશું.




















