Congress 140th Foundation day : કોંગ્રેસના 140મા સ્થાપના દિવસ પર પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે તેવું કહેનારાઓને કહેવા માંગે છે કે પાર્ટીની તાકાત ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ તેનો જુસ્સો હજુ પણ ઉંચો છે. કોંગ્રેસે ક્યારેય સમાધાન કર્યું નથી, ન તો બંધારણ સાથે, ન તો ગરીબોના અધિકારો સાથે, ન તો ધર્મનિરપેક્ષતા સાથે. કોંગ્રેસ સત્તામાં ન હોય, પરંતુ તે સમાધાન કરશે નહીં. દિલ્હીના ઇન્દિરા ભવનમાં કોંગ્રેસના મુખ્યાલયમાં મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસને ભારતના આત્માનો અવાજ ગણાવ્યો અને કહ્યું કે તે એક એવી પાર્ટી છે જે દરેક નબળા, વંચિત અને મહેનતુ વ્યક્તિ સાથે ઉભી રહી છે.
'કોંગ્રેસે ક્યારેય ધર્મના નામે મત માંગ્યા નથી'
પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ધર્મના નામે મત માંગ્યા નથી. મંદિરો અને મસ્જિદોના નામે ક્યારેય નફરત ફેલાવી નથી. કોંગ્રેસ એક કરે છે, ભાજપ ભાગલા પાડે છે. કોંગ્રેસે ધર્મને ફક્ત શ્રદ્ધા સુધી મર્યાદિત રાખ્યો. નામ લીધા વિના તેમણે કહ્યું કે કેટલાક લોકો ધર્મને રાજકારણમાં ખેંચી ગયા. આજે ભાજપ સત્તામાં છે, પરંતુ તેમાં સત્યનો અભાવ છે. ક્યારેક આંકડા છુપાવવામાં આવે છે, ક્યારેક બંધારણ બદલવાની વાતો થાય છે. ક્યારેક વસ્તી ગણતરી બંધ કરી દેવામાં આવે છે. જે લોકો આજે ઇતિહાસ પર ભાષણો આપી રહ્યા છે, તેમના પૂર્વજો ઇતિહાસથી ભાગી રહ્યા હતા. કોંગ્રેસ માત્ર એક રાજકીય પક્ષ નથી પણ એક વિચારધારા છે, અને વિચારધારાઓ ક્યારેય મરતી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું 'કોંગ્રેસ ભારતના આત્માનો અવાજ છે'
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ ભારતના આત્માનો અવાજ છે, જે દરેક નબળા, વંચિત અને મહેનતુ વ્યક્તિ સાથે ઉભી છે. X પર એક પોસ્ટ શેર કરતા, રાહુલ ગાંધીએ સત્ય અને હિંમતની લડાઈને વધુ મજબૂતીથી લડવાનો અને બંધારણને નફરત, અન્યાય અને સરમુખત્યારશાહીથી બચાવવાનો સંકલ્પ લીધો. તેમણે કોંગ્રેસના સ્થાપના દિવસ પર તમામ કોંગ્રેસ કાર્યકરોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. અગાઉ, વરિષ્ઠ નેતાઓએ ઇન્દિરા ભવન ખાતે ધ્વજવંદન સમારોહમાં ભાગ લીધો હતો. સંબોધનોમાં લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરવા માટે એક મજબૂત સંગઠનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.





















