Bhupendra Sarkar Chintan Shibir : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય 12 મી ચિંતન શિબિરના સમાપન દિવસે વર્ષ:2024થી 2025 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીએ નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ માં આ પુરસ્કાર આપ્યા હતા.
કર્મયોગી સન્માન કરાયું
જે સનદી અધિકારીઓને આ કર્મયોગી સન્માન મળ્યું તેમાં વલસાડના તત્કાલીન કલેક્ટર નૈમેષ દવે, પાટણના તત્કાલીન કલેકટર અરવિંદ વી, મોરબીના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ અને આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના નો સમાવેશ થાય છે. આ પુરસ્કાર અંર્તગત પ્રત્યેકને રૂ. 51 હજારનો રોકડ પુરસ્કાર અને જે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય તે જિલ્લાના વિકાસ માટે રૂ.40 લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવી હતી.
વહીવટમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ, નવીનતમ યોજનાઓ- કાર્યક્રમ અને અન્ય માપદંડોને ધ્યાનમાં રાખીને સીએમ ડેશબોર્ડ અંતર્ગત આવરી લેવાયેલ KPI (Key Performance Indicator)ના આધારે રાજ્યના વહીવટમાં ગતિશીલતા લાવવા અને શ્રેષ્ઠ કામગીરી બજાવતા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી વર્ષ 2005 થી જિલ્લા કલેક્ટર/ જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર આપવાની યોજના શરૂ કરવામાં આવેલી છે.
બે કલેકટર અને બે જિલ્લા વિકાસ અધિકારી પુરસ્કાર અપાયા
આ યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરઓ માટે 81 KPI તથા જિલ્લા વિકાસ અધિકારીઓ માટે 73 KPI નક્કી કરવામાં આવ્યા છે. આ યોજનામાં શ્રેષ્ઠ જિલ્લા કલેકટર/ શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી માટે કુલ 100 ગુણમાંથી વિભાગો તથા મુખ્ય સચિવ દ્વારા તેઓની કામગીરીનાં મૂલ્યાંકનનાં આધારે રાજ્ય સરકારને જે ભલામણો કરાય તેના આધારે આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત 15 લાખથી વધુ વસ્તી અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર ધરાવતા જિલ્લા અને 15 લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લા એમ બે કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવે છે. 12મી ચિંતન શિબિર ના સમાપન દિવસે દરેક કેટેગરીમાં બે કલેકટર અને બે જિલ્લા વિકાસ અધિકારી મળી ચાર સનદી અધિકારીઓને વર્ષ 2024 -25 માટેના પુરસ્કાર આપવામાં આવ્યા હતા.





















