ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલના આપઘાતના મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા મામલે અંતે ઘોઘા પોલીસ સ્ટેશનના PSI બી.કે. ગોસ્વામી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ PSIના સતત ત્રાસના કારણે દિગ્વિજયસિંહે ઝેરી દવા પી લઈને જીવન ટૂંકાવ્યું હોવાનું ગંભીર આક્ષેપ કર્યો છે.
PSI સામે નોંધાઈ ફરિયાદ
પ્રાપ્ત માહિતી મુજબ, દિગ્વિજયસિંહ ગોહિલે 21મી તારીખે ઝેરી દવા પી લઈને આત્મહત્યા કરી હતી. આ ઘટનાના બાદ પરિવારજનો અને વિવિધ સંગઠનો દ્વારા ન્યાયની માંગ ઉઠાવવામાં આવી હતી. મૃતક પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે ઘોઘા પોલીસ સ્ટેશનના PSI બી.કે. ગોસ્વામી દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસના કારણે દિગ્વિજયસિંહે આ અંતિમ પગલું ભર્યું હતું.
સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી
આ મામલે કરણીસેના દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને જો કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચેતવણી આપવામાં આવી હતી. આ અલ્ટીમેટમ પૂર્ણ થાય તે પહેલા જ પોલીસ દ્વારા PSI બી. કે. ગોસ્વામી સામે દિગ્વિજયસિંહને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, જેથી પરિસ્થિતિમાં થોડી શાંતિ જોવા મળી છે. મૃતક દિગ્વિજયસિંહના પિતા, જે પોતે નિવૃત પોલીસકર્મી છે, તેમના દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે PSI બી.કે. ગોસ્વામી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈને પોલીસ વિભાગમાં તેમજ સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.




















