Cockroach Janta Party: સોશિયલ મીડિયા પર આજકાલ 'કોકરોચ જનતા પાર્ટી'ને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. મીમ્સ, રાજકીય ચર્ચાઓ અને યુવાનોના આક્રોશ વચ્ચે ઉભરી આવેલા આ ડિજિટલ સંગઠને ઇન્ટરનેટ પર ઝડપથી પોતાની ઓળખ બનાવી લીધી છે. ચાલો જાણીએ આ પાર્ટી સાથે જોડાયેલા તમામ મોટા સવાલો અને તેના જવાબો.
સોશિયલ મીડિયા પર આજકાલ એક નામ ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યું છે - 'કોકરોચ જનતા પાર્ટી'. મીમ્સ, રાજકીય ચર્ચાઓ અને યુવાનોના ગુસ્સા વચ્ચે શરૂ થયેલી આ ઓનલાઈન ઝુંબેશ હવે ઇન્ટરનેટ પર એક મોટો ટ્રેન્ડ બની ગઈ છે. ગણતરીના દિવસોમાં જ હજારો લોકો આની સાથે જોડાઈ ચૂક્યા છે. પરંતુ આખરે આ પાર્ટી શું છે, કોણે બનાવી અને લોકો આમાં આટલો રસ કેમ દાખવી રહ્યા છે? ચાલો સવાલ-જવાબના માધ્યમથી આખો મામલો સમજીએ.
શું છે કોકરોચ જનતા પાર્ટી?
કોકરોચ જનતા પાર્ટી એક ઓનલાઈન રાજકીય કટાક્ષ (સેટાયર) ગ્રુપ છે. સામાન્ય લોકો, ખાસ કરીને યુવાનોની નારાજગી અને સિસ્ટમ પ્રત્યેની નિરાશાને અવાજ આપવા માટે આ પાર્ટી બનાવવામાં આવી હોવાનું કહેવાય છે. તેની ટેગલાઈન છે- "Voice of the lazy and unemployed" એટલે કે 'આળસુ અને બેરોજગારોનો અવાજ'. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેને પૂછવામાં આવ્યું કે, શું આ માત્ર એક ટ્રેન્ડ છે કે પછી કોઈ સંગઠન બની રહ્યું છે? આના પર તેમણે કહ્યું કે, "આ હવે એક સંગઠનનું સ્વરૂપ લઈ રહ્યું છે. જો આ માત્ર એક ટ્રેન્ડ હોત, તો અમારી વેબસાઈટ પર 2 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન ન કર્યું હોત." તેમણે એવો પણ દાવો કર્યો કે ઇન્સ્ટાગ્રામ પર પાર્ટી સાથે જોડાયેલા કન્ટેન્ટને માત્ર 4 દિવસમાં અંદાજે 5 મિલિયન (50 લાખ) વ્યુઝ અને ભારે એન્ગેજમેન્ટ મળ્યું છે.
આ અચાનક વાયરલ કેમ થઈ ગઈ?
આ ટ્રેન્ડ એ સમયે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણીને લઈને વિવાદ શરૂ થયો હતો. આ પછી ઇન્ટરનેટ પર ઘણા યુઝર્સે યુવાનો, બેરોજગારી અને સિસ્ટમને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ જ માહોલ વચ્ચે 'કોકરોચ જનતા પાર્ટી' નામે એક ડિજિટલ આંદોલન શરૂ થયું, જેણે મીમ્સ, કટાક્ષ અને રાજકીય નારાજગીને ભેગી કરીને સોશિયલ મીડિયા પર ઝડપથી પકડ બનાવી લીધી.
કોણે કરી આ પાર્ટીની શરૂઆત?
આ પાર્ટીની શરૂઆત 30 વર્ષના અભિજીત દીપકેએ કરી છે. તેઓ 2020 થી 2023 વચ્ચે આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ સાથે વોલન્ટિયર તરીકે કામ કરી ચૂક્યા છે. હાલમાં તેઓ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સ કરી રહ્યા છે. તેમણે 16 મેના રોજ X (ટ્વિટર) પર એક ગુગલ ફોર્મ શેર કરીને લોકોને પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.
વેબસાઈટ પર શું લખ્યું છે?
પાર્ટીની વેબસાઈટ પોતાને 'એવા લોકોનો અવાજ' ગણાવે છે જેમને સિસ્ટમ દ્વારા નજરઅંદાજ કરવામાં આવ્યા છે. વેબસાઈટ પર લખવામાં આવ્યું છે કે અમે અહીં ભ્રષ્ટાચારને સ્ટ્રેટેજીક ખર્ચ ગણાવવા નથી આવ્યા. અમે ફક્ત એટલું જ પૂછવા માંગીએ છીએ કે પૈસા ગયા ક્યાં?"
કોકરોચ જનતા પાર્ટી સાથે કોણ-કોણ જોડાઈ ચૂક્યું છે?
આ ટ્રેન્ડને વધુ ચર્ચા ત્યારે મળી જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદે પણ સોશિયલ મીડિયા પર આ પાર્ટી સાથે રમુજી અંદાજમાં વાતચીત કરી. કીર્તિ આઝાદે પૂછ્યું કે, "આ પાર્ટીમાં સામેલ થવા માટે શું લાયકાત જોઈએ?" જેના જવાબમાં પાર્ટીએ કહ્યું કે, "1983નો વર્લ્ડ કપ જીતવો એ પૂરતી લાયકાત છે."





