ram mandir donation controversy: અયોધ્યાના રામ મંદિરને લઈને ચાલી રહેલા દાન અને કથિત નાણાકીય ગેરરીતિના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ વખત ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, સમગ્ર મામલે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ જશે. અયોધ્યા જિલ્લાના રુદૌલી વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ વિરોધીઓ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે કેટલાક લોકો માત્ર અયોધ્યા અને રામ મંદિરને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ પાસે ગેરરીતિ અંગે કોઈ પુરાવો હોય તો તે સીધો SITને સોંપે, પરંતુ આધાર વિના આરોપો લગાવીને અયોધ્યાની પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચાડે.
રૂ.378 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રુદૌલી વિધાનસભા વિસ્તારમાં રૂ.378 કરોડથી વધુના 126 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે સરકારી આયુર્વેદિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સહિત અનેક વિકાસ યોજનાઓને જનતાને સમર્પિત કરી હતી. કાર્યક્રમમાં તેમણે વિરાંગના ઝલકારી બાઈની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું અને તેમના યોગદાનને યાદ કરતાં દેશભક્તિ અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો.
‘500 વર્ષના સંઘર્ષ બાદ બન્યું છે રામ મંદિર’
રામ મંદિર મુદ્દે બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ મંદિર માત્ર એક ઇમારત નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા અને 500 વર્ષના લાંબા સંઘર્ષનું પરિણામ છે. તેમણે કહ્યું કે એવા પવિત્ર સ્થળ સાથે જોડાયેલા મુદ્દાઓ પર જવાબદારીપૂર્વક વાત કરવી જોઈએ. તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ પ્રકારની અફવાઓ કે આરોપો ફેલાવવાથી સમાજમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો: રામ મંદિરના દાન વિવાદ બાદ સરકાર એક્શનમાં : ટ્રસ્ટમાં CEOની નિમણૂકની તૈયારી
વિરોધીઓ પર આકરા પ્રહાર
CM યોગીએ પોતાના ભાષણ દરમિયાન વિપક્ષી પક્ષો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જે લોકો આજે રામ મંદિર અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, તેઓએ ભૂતકાળમાં રામભક્તો પર ગોળીબાર કરાવ્યો હતો અને ભગવાન શ્રીરામના નામ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે આવા લોકો હવે અયોધ્યા અને રામ મંદિરને લઈને નૈતિક ઉપદેશ આપી રહ્યા છે, જે જનતા સારી રીતે સમજે છે.
‘અપરાધી હશે તો બચશે નહીં’
મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, SIT સંપૂર્ણ નિષ્પક્ષતાથી તપાસ કરી રહી છે અને જો કોઈ પણ વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર કોઈ પણ આરોપીને બચાવવાનો પ્રયાસ નહીં કરે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈના ચરિત્રહનનનો પ્રયાસ ન કરે.
‘પુરાવા હોય તો SITને આપો’
યોગી આદિત્યનાથે જણાવ્યું કે, રાજ્ય સરકારે ટ્રસ્ટની માંગ પર SITની રચના કરી છે. જો કોઈ વ્યક્તિ પાસે કોઈ દસ્તાવેજ, પુરાવો અથવા માહિતી હોય તો તે સીધી તપાસ ટીમને આપવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મીડિયા ટ્રાયલ અથવા રાજકીય નિવેદનોના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.
આ પણ વાંચો:
દીકરીઓ માટે PACની ત્રણ નવી બટાલિયનની જાહેરાત
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ મહિલાઓના સશક્તિકરણને લઈને પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે વિરાંગના અવંતીબાઈ લોધી, ઝલકારી બાઈ કોરી અને ઉદાદેવી પાસીના નામે PACની ત્રણ નવી બટાલિયન રચવાનો નિર્ણય કર્યો છે. સૌથી ખાસ વાત એ છે કે, આ ત્રણેય બટાલિયનમાં માત્ર મહિલાઓની જ ભરતી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ નિર્ણય મહિલાઓને સુરક્ષા ક્ષેત્રમાં વધુ તક આપવા અને તેમની ભાગીદારી વધારવાના હેતુથી લેવામાં આવ્યો છે.
તપાસ પર દેશભરની નજર
રામ મંદિર દાન વિવાદને લઈને ચાલી રહેલી SIT તપાસ હાલમાં દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. એક તરફ મંદિર ટ્રસ્ટ અને તપાસ એજન્સીઓ સમગ્ર મામલે તથ્યો એકત્ર કરી રહી છે, તો બીજી તરફ રાજકીય નિવેદનોને કારણે મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગીના નિવેદન બાદ હવે સૌની નજર SITની અંતિમ તપાસ રિપોર્ટ પર ટકેલી છે, જેનાથી સમગ્ર મામલાની હકીકત સામે આવી શકે છે.





