CM ભૂપેન્દ્ર પટેલએ કોંગ્રેસ પક્ષ દ્વારા એઆઈ સમિટના વિરોધ પ્રદર્શન અંગે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વનેતા નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં વિશ્વએ નવા ભારતનો ઉદય એ.આઈ. ઈમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતા દ્વારા જોયો છે. આ સમિટથી ભારતની વૈશ્વિક છબી વધુ મજબૂત બની છે અને દેશની યુવાશક્તિને નવી દિશા મળી છે.
'...કોંગ્રેસે હવે ભારતનો જ વિરોધ કરવાનો માર્ગ અપનાવ્યો છે'
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ પહેલના કારણે સ્ટાર્ટઅપ્સ અને ઇમર્જિંગ સેક્ટરમાં યુવાઓ માટે અપાર તકોનું નિર્માણ થયું છે. ભારતના યુવાનોને નવી ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળ્યું છે. આવા ઐતિહાસિક પગલાંથી દેશ વિશ્વસ્તરે પ્રગતિ કરી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આવી ઉપલબ્ધિ અને સમિટથી ઉભરી રહેલી ભારતની મજબૂત છબીને સહન ન કરી શકનારા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસે હવે ભારતનો જ વિરોધ કરવાનો માર્ગ અપનાવ્યો છે. કોંગ્રેસ આ વિરોધ દ્વારા પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરી રહી છે.
'કોંગ્રેસે પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઈએ'
મુખ્યમંત્રીએ જણાવ્યું કે જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે, ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત રહી છે. હવે જ્યારે દેશની યુવાશક્તિ માટે વિકાસના નવા અવસર ખુલ્યા છે, ત્યારે શંકા ઉભી કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે અંતમાં જણાવ્યું કે કોંગ્રેસે પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઈએ અને દેશની માફી માગવી જોઈએ.




















