ભારતીય શેરબજાર માટે સપ્તાહનો છેલ્લો દિવસ અત્યંત નિરાશાજનક રહ્યો છે. વૈશ્વિક બજારોમાં નબળાઈ અને જીઓપોલિટિકલ તણાવને કારણે ભારતીય બેન્ચમાર્ક ઈન્ડાઈસીસ આજે લાલચોળ નિશાન સાથે બંધ થયા છે. શુક્રવારે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 961 પોઈન્ટ્સ અથવા 1.17 ટકાના ઘટાડા સાથે 81,287 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 317 પોઈન્ટ્સ અથવા 1.25 ટકા તૂટીને 25,178 ના સ્તરે પહોંચી ગઈ હતી. બજારમાં આવેલી આ સુનામીમાં રિયલ્ટી, મેટલ અને એફએમસીજી સેક્ટરમાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું.
બજારના નિષ્ણાતોના મતે, યુએસ-ઈરાન પરમાણુ મંત્રણામાં કોઈ પ્રગતિ ન થતા મધ્ય પૂર્વમાં વધતા તણાવે રોકાણકારોના સેન્ટિમેન્ટને નકારાત્મક બનાવ્યું છે. આ ઉપરાંત, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ની સાવચેતી અને AI સંબંધિત અનિશ્ચિતતાએ પણ બજાર પર દબાણ વધાર્યું છે. જોકે, આ ઘટાડા વચ્ચે પણ આઈટી અને મીડિયા જેવા સેક્ટરમાં થોડી ઘણી ખરીદી જોવા મળી હતી, પરંતુ તે બજારને સાચવી શક્યા નહોતા.
સેક્ટરોની સ્થિતિ: ક્યાં તેજી અને ક્યાં મંદી?
આજના કારોબારમાં ઓટો, બેંક, એફએમસીજી, મેટલ, રિયલ્ટી અને ટેલિકોમ સેક્ટરમાં 1 થી 2 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, આઈટી, મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ 1-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે વેચવાલી માત્ર બ્લુચિપ શેરો પૂરતી મર્યાદિત નથી પરંતુ બ્રોડર માર્કેટમાં પણ ફેલાયેલી છે.
ટોપ લુઝર્સ અને ગેઈનર્સ
ઘટાડો (Drags): નિફ્ટીમાં આજે ડો. રેડ્ડીઝ લેબ્સ, ભારતી એરટેલ, એમએન્ડએમ (M&M), એચડીએફસી લાઈફ અને સન ફાર્મા જેવા શેરોમાં સૌથી વધુ કડાકો બોલાયો હતો.
વધારો (Gainers): બજારના આ કડાકા વચ્ચે ટ્રેન્ટ (Trent), એચસીએલ ટેક (HCL Tech), ઈન્ફોસિસ અને એપોલો હોસ્પિટલ્સના શેરોમાં તેજી જોવા મળી હતી.
ઝાયડસ લાઈફસાયન્સ અને રૂપિયાની સ્થિતિ
ઝાયડસ લાઈફસાયન્સે તેની પેમ્બ્રોલિઝુમાબ બાયોસિમિલરના સફળ ક્લિનિકલ ડેવલપમેન્ટની જાહેરાત કરી હોવા છતાં, કંપનીનો શેર 2.05 ટકા ઘટીને ₹918.90 પર બંધ રહ્યો હતો. બીજી તરફ, કરન્સી માર્કેટમાં ભારતીય રૂપિયો પણ નબળો પડ્યો છે. શુક્રવારે રૂપિયો ડોલર સામે 6 પૈસા ઘટીને 90.97 પર બંધ થયો હતો, જે ગુરુવારે 90.91 ના સ્તરે હતો.
નિષ્ણાતોનો મત: શું રહેશે આગળની ચાલ?
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ નાયરના જણાવ્યા મુજબ, ભારતીય બજારો હાલમાં કન્સોલિડેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. રોકાણકારો હવે ભારતના Q3 જીડીપી આંકડાની રાહ જોઈ રહ્યા છે, જે આજે જાહેર થવાના છે. જો જીડીપીના આંકડા અપેક્ષા મુજબ મજબૂત આવશે, તો બજારને થોડો ટેકો મળી શકે છે, અન્યથા અસ્થિરતા યથાવત રહેવાની શક્યતા છે.




















