Ahmedabad commonwealth : આખરે જે ક્ષણની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ઘડીને સત્તાવાર મહોર લાગી ગઈ છે. હા, અમદાવાદ હવે વર્ષ-2030 માં આયોજિત થનારા કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ અંગેની જાહેરાત આજરોજ ગ્લાસગ્લો, સ્કોટલેંડ ખાતે આયોજિત ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની બેઠકના અંતે કરવામાં આવી છે. આ ક્ષણ સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રમતગમતની સંસ્કૃતિને સતત પ્રોત્સાહન અને દૂરદર્શીતા, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અથાક પ્રયાસોના લીધે ભારત ખેલકૂદના ક્ષેત્રમાં સતત આગેકુચ કરી રહ્યું છે. જેના પરિણામસ્વરૂપે આજે કોમનવેલ્થ રમતોત્સવની શતાબ્દી અંતર્ગત 24-મા કોમનવેલ્થ રમતોત્સવની યજમાની અમદાવાદને પ્રાપ્ત થઇ છે.
‘ખેલો ઇન્ડિયા’
કોમનવેલ્થ ગેમ્સનો પ્રારભ થયા’ના શતાબ્દી વર્ષની ઉજવણી વર્ષ-2030 માં થઇ રહી હોઈ, આ નિર્ણય ભારત અને કોમનવેલ્થ સપોર્ટસ મુવમેન્ટ માટે એતિહાસિક ક્ષણ બની રહેશે. આ નિર્ણય કોમનવેલ્થ રાષ્ટ્રોની રમતગમત પ્રત્યેની શ્રેષ્ઠતા, એકતા અને સંયુક્ત પ્રગતિના 100 વર્ષની ઉજવણીના પ્રતિકરૂપ બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલો ઇન્ડિયા’થી પ્રતિભાવંત ખેલાડીઓની શોધ અને તેમના સંવર્ધન માટે સતત પ્રવૃત એવા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનના લીધે દેશને કોમનવેલ્થ રમતોત્સવની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ ક્ષણને વધાવી લેતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે દેશના સૌ નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ મોદીજીના સતત પ્રયાસોને આભારી છે. રમતગમતને લગતી સબળ માળખાકીય સુવિધાઓ અને ખેલાડીઓ ઉભા કરીને તેને આંતરરાષ્ટ્રીય કક્ષા સમકક્ષ મુકવાના લીધે જ આ બહુમાન ભારત અને ખાસ કરીને અમદાવાદને પ્રાપ્ત થયું છે.
‘અમદાવાદ, ગુજરાત અને ભારત માટે આ અપ્રતિમ ગૌરવની ક્ષણ છે’
તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાત હવે દેશના સપોર્ટસ કેપિટલ તરીકે ઉભરશે. એટલું જ નહિ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્પનાને વધુ મજબુત કરશે. આ પ્રસંગે કેન્દ્રિય રમતગત અને યુવા બાબતોના મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ એ ભારતની વિકાસયાત્રાનો તથા રમતગમતને રાષ્ટ્રીય વિકાસના સાધન તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતાનો ઉત્સવ બની રહેશે. આ સીમાચિહ્ન ‘વિકસિત ભારત@2047’ના આપણા વિઝનને મજબૂત બનાવશે અને પ્રભાવશાળી, સમાવેશી તથા ટકાઉ રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં ભારતની વૈશ્વિક નેતૃત્વક્ષમતાને વધુ સુદૃઢ કરશે.”
અમારા માટે સન્માન અને જવાબદારી બંને છે: હર્ષ સંઘવી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે, “આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ ક્ષણ છે. સો વર્ષ પૂર્ણ થતી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ અમારા માટે સન્માન અને જવાબદારી બંને છે. અમદાવાદ અને ભારતની પ્રગતિ, સમાવેશી વિચારસરણી તથા આતિથ્યની ઝલક દર્શાવતા આ ઉત્સવ સાથે વિશ્વનું સ્વાગત કરવા અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ રમતો આપણી માળખાકીય સુવિધાઓ અને પ્રતિભાનું પ્રદર્શન જ નહીં, પરંતુ એકતા, ટકાઉ વિકાસ તથા શ્રેષ્ઠતા જેવા આપણા મૂલ્યોનું પણ પ્રતિબિંબ પાડશે”
પી. ટી. ઉષાએ શું કહ્યું?
આ તકે કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ ડૉ. પી. ટી. ઉષાએ જણાવ્યું હતું કે, “કોમનવેલ્થ સ્પોર્ટ દ્વારા અમારા પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો છે તેનાથી અમે ખૂબ જ ગૌરવાન્વિત છીએ. વર્ષ-2030ની રમતો માત્ર કોમનવેલ્થ ચળવળના સો વર્ષની ઉજવણી જ નહીં, પરંતુ આવનારી સદીનો પાયો પણ નાખશે. આ રમતો કોમનવેલ્થના તમામ દેશોના ખેલાડીઓ, સમુદાયો અને સંસ્કૃતિઓને મિત્રતા તથા પ્રગતિની ભાવના સાથે એકસૂત્રે બાંધશે”
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ : શ્રેણીબદ્ધ તબક્કાઓ
વર્ષ-૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સના યજમાનપદના અધિકાર મેળવવાની ભારતની યાત્રા કોમનવેલ્થ સ્પોર્ટ (CS) સાથેની સુવ્યવસ્થિત અને સહકારપૂર્ણ પ્રક્રિયા દ્વારા પૂર્ણ થઈ છે. આ પ્રક્રિયાની ઔપચારિક શરૂઆત તા.9 જાન્યુઆરી 2025ના રોજ થઈ હતી, જ્યારે ભારતને CS તરફથી ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ (LoI)નું આમંત્રણ મળ્યું. ત્યારબાદ 29 જાન્યુઆરી 2025ના રોજ કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ અને CEOએ ગુજરાતની મુલાકાત લીધી અને રાજ્યના નેતૃત્વ સાથે વાતચીત કરીને રમતો માટેની પ્રાથમિક વિઝન અને તૈયારીનું અવલોકન કર્યું. આ પછી તા.13 માર્ચ 2025ના રોજ ભારતે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ સુપરત કરીને રમતોનું આયોજન કરવા માટેની ઔપચારિક પ્રતિબદ્ધતા દર્શાવી. આ અંગેની તૈયારીઓ તેજ થતાં, તા.29 એપ્રિલ 2025ના રોજ ભારત અને કોમનવેલ્થ સ્પોર્ટ વચ્ચે પ્રથમ વર્ચ્યુઅલ કિક-ઑફ મીટિંગ યોજાઈ, જેમાં વર્કસ્ટ્રીમ, દસ્તાવેજોની અપેક્ષાઓ તથા સમયમર્યાદા નક્કી કરવામાં આવી. મે, ૨૦૨૫માં બિડના તાંત્રિક વિકાસ માટે એક વિશેષજ્ઞ કન્સલ્ટન્સી એજન્સીની નિમણૂક કરવામાં આવી.
જૂન 2025માં ભારતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ લંડન ગયું અને કોમનવેલ્થ સ્પોર્ટના અધિકારીઓ સાથે મળીને પ્રસ્તાવના તાંત્રિક તથા સંચાલનાત્મક પાયાને વધુ મજબૂત બનાવ્યું. ત્યારબાદ તા.૩ ઑગસ્ટ ૨૦૨૫ના રોજ કોમનવેલ્થ સ્પોર્ટની ટીમે અમદાવાદની મુલાકાત લીધી અને સ્થળો, આધારભૂત સુવિધાઓ, શાસન વ્યવસ્થા તથા રમતોની તૈયારીનું મૂલ્યાંકન કર્યું.
તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભારતે પોતાની ઔપચારિક બિડ પ્રેઝન્ટેશન રજૂ કરી, જેમાં સો વર્ષ પૂર્ણ થતી રમતોના આયોજન માટેની દ્રષ્ટિ, ક્ષમતા તથા તૈયારી દર્શાવવામાં આવી. વિગતવાર મૂલ્યાંકન પ્રક્રિયાના પરિણામે 14 ઑક્ટોબર 2025ના રોજ કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડે ભારતની બિડની મજબૂતાઈ, સ્પષ્ટતા તથા વ્યાવસાયિકતાને ટાંકીને અમદાવાદને યજમાન શહેર તરીકેની ભલામણ કરી.
આ પ્રક્રિયાને આખરીઓપ તા. 26 નવેમ્બર 2025ના આપવામાં આવ્યો અને કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીએ અમદાવાદને વર્ષ-2030 માં સો વર્ષ પૂર્ણ કરતી કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકેની પુષ્ટિ આપી. આ ક્ષણ ભારત, ગુજરાત તથા સમગ્ર કોમનવેલ્થ રમતગમત ચળવળ માટે ઐતિહાસિક ક્ષણ છે.





















