Who is Kartik Sharma And Prashant Vir: IPL 2026 ઓક્શનમાં મીની ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ બે અનકેપ્ડ યુવા ખેલાડીઓ પર મોટો દાવ રમ્યો છે. રાજસ્થાનના વિકેટકીપર-બેટ્સમેન કાર્તિક શર્મા અને ઉત્તર પ્રદેશના ઓલરાઉન્ડર પ્રશાંત વીરને ટીમે 28.40 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આ બંને ખેલાડીઓનું બેઝ પ્રાઈસ માત્ર 30 લાખ રૂપિયા હતું, પરંતુ તીવ્ર બોલી યુદ્ધ પછી તેઓ IPL ઈતિહાસના સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ બની ગયા છે. CSKએ આ બંને યુવા પ્રતિભાઓ પર કુલ 28.40 કરોડ રૂપિયા ખર્ચ કરીને ટીમના ભવિષ્ય માટે મજબૂત પાયો નાખ્યો છે. આ ઓક્શનમાં અનકેપ્ડ ખેલાડીઓએ મોટી રકમ મેળવી છે, જેમાં જમ્મુ-કાશ્મીરના પેસર ઔકિબ નબીને દિલ્હી કેપિટલ્સે 8.40 કરોડમાં ખરીદ્યો હતો.
કાર્તિક શર્મા: પાવર-હિટિંગ વિકેટકીપર
19 વર્ષીય કાર્તિક શર્મા રાજસ્થાન માટેડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યા છે. તે વિકેટકીપર-બેટ્સમેન છે અને મોટા શોટ મારવા માટે જાણીતા છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં (SMAT) તેણે તોફાની સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા છે. તેના T-20 કરિયરમાં 12 મેચમાં 334 રન બનાવ્યા છે, જેમાં સ્ટ્રાઈક રેટ 163ની આસપાસ છે. ડેથ ઓવર્સમાં ફિનિશરની ભૂમિકા નિભાવવાની ક્ષમતા તેને ખાસ બનાવે છે. ઓક્શમાં કાર્તિક માટે મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી. અંતે CSKએ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. કાર્તિકની પાવર હિટિંગ અને વિકેટકીપિંગ કૌશલ્ય CSKના મિડલ ઓર્ડરને મજબૂત બનાવશે.
પ્રશાંત વીર: જાડેજાના રિપેલેસમેન્ટ તરીકેની આશા
20 વર્ષીય પ્રશાંત વીર ઉત્તર પ્રદેશના ઓલરાઉન્ડર છે. તે ડાબોડી બેટ્સમેન અને સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર છે. યુપી T-20 લીગ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં તેના શાનદાર પ્રદર્શનથી તે ધ્યાનમાં આવ્યો. T-20 માં 9 મેચમાં 112 રન અને 12 વિકેટ લીધી છે, જેમાં સ્ટ્રાઈક રેટ 167થી વધુ છે. રવીન્દ્ર જાડેજાના ટ્રેડ ડીલ પછી CSKને આવા ઓલરાઉન્ડરની જરૂર હતી. પ્રશાંત માટે પણ લખનઉ, રાજસ્થાન અને હૈદરાબાદ સાથે સ્પર્ધા હતી, પરંતુ CSKએ તેને છોડ્યો નહીં. તેની ગેંદબાજી ઈકોનોમી 6.76ની છે અને બેટિંગમાં પણ તોફાની છે.
CSKની વ્યૂહરચના: યુવા પ્રતિભાઓ પર દાવ
CSKએઓક્શનમાં પહેલા વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર અકીલ હોસેનને તેમના બેઝ પ્રાઈસ 2 કરોડમાં ખરીદ્યા હતા. પરંતુ મુખ્ય ધ્યાન યુવા ભારતીય ખેલાડીઓ પર હતું. આ બંને ખરીદીથી ટીમે ભવિષ્ય માટે મજબૂત આધાર તૈયાર કર્યો છે. કાર્તિક અને પ્રશાંત આગામી સિઝનમાં CSK માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. આ ઓક્શનમાં અનકેપ્ડ ખેલાડીઓનું મહત્વ વધ્યું છે, જે ભારતીય ઘરેલુ ક્રિકેટની મજબૂતાઈ દર્શાવે છે. CSKના ચાહકોને આ યુવા તારલાઓથી મોટી આશાઓ છે.





















