દેહરાદૂન: ઉત્તરાખંડમાં સ્થિત વિશ્વવિખ્યાત ચારધામોની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે વહીવટી તંત્ર અને મંદિર સમિતિઓ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) અને ગંગોત્રી મંદિર સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે ચારધામમાં હવે માત્ર હિન્દુઓ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓને જ પ્રવેશ આપવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય તર્ક એ છે કે આ ધામો આધ્યાત્મિક કેન્દ્રો છે અને તેની ધાર્મિક ઓળખ સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં. વહીવટી તંત્રના આ નિર્ણયને ઉત્તરાખંડ વક્ફ બોર્ડે પણ ટેકો જાહેર કર્યો છે.
"ધામો પિકનિક સ્પોટ નથી, સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર છે"
BKTC ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કેદારનાથ અને બદરીનાથ ધામ કોઈ ફરવા માટેના પિકનિક સ્પોટ નથી, પરંતુ સનાતન પરંપરાના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્રો છે. બંધારણની કલમ 25 હેઠળ શીખ, જૈન અને બૌદ્ધો સનાતન પરંપરાનો જ હિસ્સો ગણાય છે, તેથી તેઓ દર્શન કરી શકશે. જ્યારે કલમ 26 આપણી ધાર્મિક પરંપરાઓ અને પૂજા પદ્ધતિની રક્ષા કરવાનો અધિકાર આપે છે. તેમણે ઉમેર્યું કે, ઉત્તરાખંડમાં પ્રવાસન માટે હજારો સ્થળો છે, પરંતુ ધામોની ધાર્મિક ઓળખ બદલવી એ આસ્થા સાથે અન્યાય થશે.
વક્ફ બોર્ડના અધ્યક્ષે પણ આપ્યું સમર્થન
ચોંકાવનારી વાત એ છે કે ઉત્તરાખંડ વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે પણ આ નિર્ણયને સાચો ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે, જેમને દેવી-દેવતાઓમાં આસ્થા જ નથી, તેમનું ચારધામમાં શું કામ છે? તેમણે વધુમાં જણાવ્યું કે સનાતન સંસ્કૃતિ પર દુનિયાભરમાંથી હુમલા થઈ રહ્યા છે, તેથી તેને બચાવવા માટે આવા કડક પગલાં લેવા જરૂરી છે. જે લોકો હિન્દુ ધર્મનું માન-સન્માન કરે છે અને આસ્થા ધરાવે છે, તેમને જ પ્રવેશ મળવો જોઈએ.
નવો નિયમ નહીં પણ જૂની પરંપરાનું ઔપચારિક પાલન
મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, બિન-હિન્દુઓના પ્રવેશ પરનો પ્રતિબંધ કોઈ નવો નિયમ નથી, પરંતુ તે વર્ષો જૂની પરંપરા છે જેને હવે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. જેમ મસ્જિદમાં નમાઝની શરતો હોય છે અને ચર્ચમાં પોતાના સંસ્કારો હોય છે, તેમ દરેક ધર્મને પોતાની પવિત્રતા અને શિસ્ત નક્કી કરવાનો અધિકાર છે. અદાલતોએ પણ અગાઉ સ્પષ્ટ કર્યું છે કે મંદિરમાં પ્રવેશ એ કોઈ સામાન્ય નાગરિક અધિકાર નથી, પરંતુ ધાર્મિક આચરણનો વિષય છે.
ધાર્મિક સંસ્થાઓ દ્વારા દરખાસ્ત પસાર
ગંગોત્રી અને યમુનોત્રી મંદિર સમિતિએ બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગેની દરખાસ્ત પસાર કરી દીધી છે. શ્રી કેદાર સભા અને શ્રી ડિમરી ધાર્મિક કેન્દ્રીય પંચાયત સહિતના તમામ સનાતન ધર્મીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ગંગોત્રી મંદિર સમિતિના પ્રમુખ સુરેશ સેમવાલે જણાવ્યું કે, જે લોકો હિન્દુ ધર્મનું સન્માન કરે છે અને જે શીખ સમાજના લોકો છે, તેઓ દર્શન કરવા આવી શકે છે.





















