ગીર સોમનાથમાં યોજાતા પ્રખ્યાત કાર્તિકી પૂર્ણિમા મેળા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટે પ્રવર્તમાન હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેળાની તારીખોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ આ મેળો તા. 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી યોજાવાનો હતો, પરંતુ હવે નવી તારીખો અનુસાર મેળો તા. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 દરમ્યાન યોજાશે.
આ નિર્ણયથી હજારો ભક્તો અને યાત્રાળુઓને અનુકૂળતા રહેશે એવી અપેક્ષા છે, કારણ કે તાજેતરના દિવસોમાં વરસાદ અને અસ્થિર હવામાનને કારણે મેળા દરમિયાન મુશ્કેલી ઊભી થવાની શક્યતા હતી. સોમનાથ ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે કાર્તિકી એકાદશીથી પૂર્ણિમા સુધી સોમનાથ મહાદેવના દર્શન, પૂજા-વિધિ અને આરતીના કાર્યક્રમો નિર્ધારિત સમય મુજબ યથાવત રહેશે.
તે ઉપરાંત, તા. 5 મીના કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રે 12 વાગ્યે પરંપરાગત રીતે સોમનાથ મહાદેવની મહાઆરતી યોજાશે. સ્થાનિક વેપારીઓ અને ભક્તો દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે, કારણ કે હવે મેળો વધુ અનુકૂળ હવામાનમાં અને ભવ્ય રીતે યોજાઈ શકશે.






