અરવલ્લીના પહાડો અને ગુજરાતના જંગલો મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે એક મોટો કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૈતર વસાવાએ જણાવ્યું કે, 'વિકાસ અને રોડ-રસ્તાના નામે અરવલ્લીના પહાડોને ખાણખનીજ માટે સોંપી દેવાની તૈયારી ચાલી રહી છે અને મોટા પાયે ખનન થવાની શક્યતા છે, જે પર્યાવરણ માટે ભારે નુકસાનકારક છે. આ ગંભીર મુદ્દે આવતીકાલે ચિંતન સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં અરવલ્લી બચાવવા માટે કયા પગલાં લઈ શકાય અને કયા પ્રકારના કાર્યક્રમો યોજી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે'. તેમણે વધુમાં જણાવ્યું કે, 'અરવલ્લી બચાવવા માટે ખેડબ્રહ્માના ખરોજ ખાતે હજારો લોકો એકઠા થશે અને સરકારને અનુમોદન (આવેદન) આપવામાં આવશે'.
'જંગલો અને પહાડોને ખનન માટે સોંપવામાં આવી રહ્યા છે'
ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, 'ઉદ્યોગપતિઓના કહેવા મુજબ જંગલો અને પહાડોને ખનન માટે સોંપવામાં આવી રહ્યા છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી “એક પેડ માં કે નામ” જેવી વાત કરે છે અને બીજી બાજુ વિકાસના નામે લાખો વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે, જે મોટો વિરોધાભાસ દર્શાવે છે'. તેમણે કહ્યું કે, 'માત્ર વાતો કરવાથી જંગલો બચતા નથી, પરંતુ આદિવાસી સમાજ અને અન્ય સ્થાનિક સમુદાયોએ વર્ષોથી જંગલોને સાચવ્યા છે. ભાજપ સરકાર ખનીજો અને ખનન માટે ઉદ્યોગપતિઓને ફાયદો થાય તેવા નવા નવા કાયદાઓ લાવી રહી છે, જેના સામે આમ આદમી પાર્ટીનો સખત વિરોધ છે'.
'અરવલ્લી બચાવવા માટે એક વિશાળ જન સંમેલન યોજાશે'
ચૈતર વસાવાએ કહ્યું કે, 'આ સમગ્ર લડતને વધુ મજબૂત બનાવવા માટે 23 ડિસેમ્બરે ખેડબ્રહ્માના ખરોજ ખાતે અરવલ્લી બચાવવા માટે એક વિશાળ જન સંમેલન યોજાશે'. ચૈતર વસાવાએ સ્પષ્ટ કહ્યું કે, અરવલ્લીની પહાડીઓ અને ગુજરાતના જંગલોને બચાવવા માટે તેઓ જનતાને સાથે રાખીને લોકલડત લડશે અને પર્યાવરણના સંરક્ષણ માટે કોઈપણ બલિદાન આપવા તૈયાર છે'.





















