CBSE three-language policy: સુપ્રીમ કોર્ટે મંગળવારે 2026-27ના શૈક્ષણિક સત્ર માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ત્રિ-ભાષા નીતિ (three-language policy) પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે 'ભાષા શીખવી ક્યારેય નકામી જતી નથી', અને આ નીતિને પડકારતી અરજીઓ પર આવતા સપ્તાહે વિગતવાર સુનાવણી કરવા સંમત થઈ છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બનેલી બેન્ચે નવી અરજીઓ પર નોટિસ ફટકારી છે અને આ મામલાની સુનાવણી આવતા સપ્તાહે બુધવારે નક્કી કરી છે. જોકે, કોર્ટે આ તબક્કે CBSE ના પરિપત્રો પર કોઈ વચગાળાનો સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો.
ચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટથી રાહત : EDની જામીન રદ કરવાની અરજી ફગાવાઈ
આ અરજીઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી સુધારેલી ત્રિ-ભાષા નીતિ લાગુ કરવાના CBSE ના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. અરજદારોએ દલીલ કરી હતી કે ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હવે બે ભારતીય ભાષાઓનો અભ્યાસ કરવો પડશે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને ધોરણ 5 થી શીખી રહેલી ભાષાઓ છોડી દેવાની ફરજ પડશે. તેઓએ નીતિ હેઠળ અંગ્રેજીને બિન-મૂળ (non-native) ભાષા તરીકે ગણવા સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી, આ ઉપરાંત કેટલીક ભારતીય ભાષાઓ માટે શિક્ષકો અને પાઠ્યપુસ્તકોના અભાવ તરફ ધ્યાન દોર્યું હતું.
અરજદારોમાંથી એક તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે દલીલ કરી હતી કે CBSE પાસે આવા પરિપત્રો બહાર પાડવાનો કાનૂની અધિકાર નથી. "આ પરિપત્રો કાયદાની સત્તા વિનાના છે. માત્ર NCERT પાસે સત્તા છે, CBSE પાસે નહીં. તેઓ વિકલ્પો આપ્યા વિના ભાષાઓ લાદી રહ્યા છે. જો મારે સંસ્કૃતને બદલે પંજાબી શીખવી હોય તો શિક્ષકો નથી, પુસ્તકો ઉપલબ્ધ નથી. એક બાળક તરીકે, મને એવી ભાષા શીખવાની તક મળવી જોઈએ જે મને રોજગાર આપે," તેમણે રજૂઆત કરી.
અદાલતોએ 24X7 કામ કરવું જોઈએ... : સુપ્રીમ કોર્ટે દર્શાવી સહમતિ, તમામ હાઈકોર્ટને મોકલી નોટિસ
અન્ય અરજીઓના સમૂહમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને દલીલ કરી હતી કે આ નીતિએ અંગ્રેજીને 'બિન-મૂળ' ભાષા તરીકે ગણી છે જ્યારે ભારતીય ભાષાઓને ફરજિયાત બનાવી છે. તેમણે કહ્યું, "તેઓએ 300 વર્ષ જૂની ભાષાને લીધી છે અને અંગ્રેજીને બિન-મૂળ ભાષા તરીકે ગણી છે." વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને દલીલ કરી હતી કે જોકે CBSE એ 29 જૂનના પરિપત્ર દ્વારા કેટલીક જોગવાઈઓને હળવી કરી છે, છતાં મુખ્ય ચિંતાઓ હજુ પણ છે. તેમણે રજૂઆત કરી કે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) માં 2030 સુધીમાં અમલીકરણની કલ્પના કરવામાં આવી હતી, ત્યારે CBSE એ તેને ચાલુ શૈક્ષણિક વર્ષથી જ આગળ ધપાવી દીધું છે.
વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ વિદેશી ભાષાઓનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની વ્યાવહારિક મુશ્કેલીઓને હાઇલાઇટ કરી. "ધોરણ 9 નો વિદ્યાર્થી જે આજ સુધી ફ્રેન્ચ ભણી રહ્યો છે તેને ત્રીજી ભાષા લેવા અને એપ્રિલમાં પરીક્ષા આપવાનું કહેવામાં આવે છે. જ્યાં સુધી તમે આંતરિક મૂલ્યાંકનમાં પાસ ન થાઓ. ધોરણ 9 માં કોઈપણ વિદ્યાર્થીને તમિલ શીખવાનું શરૂ કરવાનું કેવી રીતે કહી શકાય? દિલ્હીની કઈ શાળા એવા શિક્ષક પ્રદાન કરી શકે જે શીખવી શકે?" તેમણે દલીલ કરી.
વચગાળાની રાહત માંગતા શંકરનારાયણને કહ્યું કે શાળાઓ આ નીતિ લાગુ કરવા માટે તૈયાર નથી. "અમે થોડી મિનિટો પહેલા જ NCERT ની વેબસાઇટ પર ગયા. માત્ર ત્રણ પુસ્તકો છે, 22 નહીં. બાળકોને અંગ્રેજી અને અન્ય વિદેશી ભાષાઓ છોડી દેવા અને મૂળ ભાષાઓ લેવાનું કહેવામાં આવે છે. તેઓએ કહ્યું હતું કે 1 જુલાઈ સુધીમાં પાઠ્યપુસ્તકો તૈયાર થઈ જશે. શિક્ષકોને 22 ભાષાઓ માટે તૈયાર રહેવું પડશે. આ વર્તમાન સ્થિતિ (status quo) ને નુકસાન પહોંચાડે છે," તેમણે રજૂઆત કરી.
જો શાળાઓને ભાષાની ઓફરમાં ફેરફાર કરવાની ફરજ પડશે તો વિદેશી ભાષાના શિક્ષકો તેમની નોકરી ગુમાવી શકે તેવી ચિંતા પણ તેમણે વ્યક્ત કરી હતી.
રજૂઆતોનો જવાબ આપતા ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ટિપ્પણી કરી, "ભાષા શીખવી ક્યારેય નકામી જતી નથી." જ્યારે શંકરનારાયણને દલીલ કરી કે નીતિને કારણે શિક્ષકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે, ત્યારે CJI એ જવાબ આપ્યો, "જો કાઢી મૂકવામાં આવશે, તો અમે તેમને પાછા નોકરી પર રાખી શકીએ છીએ (reinstate)."
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જવાબ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય માંગ્યો હતો. બેન્ચે કેન્દ્રને 10 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે એડવોકેટ રાહુલ શ્યામ ભંડારી અને જી પ્રિયદર્શિની દ્વારા રજૂ કરાયેલા હસ્તક્ષેપકર્તા ફૌઝિયા ખાનની રજૂઆતો પણ સાંભળી હતી, જેમણે દલીલ કરી હતી કે આ નીતિએ બાળકો, ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી છે.
આ સુનાવણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ રજૂ કરાયેલ CBSE ની સુધારેલી ત્રિ-ભાષા નીતિ સામે ચાલી રહેલા કાનૂની પડકાર વચ્ચે આવી છે. બોર્ડે આ નીતિનો બચાવ કરતા સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તેની 28,800 થી વધુ સંલગ્ન શાળાઓમાંથી લગભગ અડધી શાળાઓ પહેલેથી જ ધોરણ 9 માં બે કે તેથી વધુ ભારતીય ભાષાઓ શીખવે છે, જ્યારે લગભગ તમામ શાળાઓમાં ઓછામાં ઓછો એક ભારતીય-ભાષાનો શિક્ષક છે. તેણે એમ પણ કહ્યું છે કે પરિવર્તન (transition) સમયગાળા દરમિયાન શાળાઓને સ્ટાફિંગમાં લવચીકતા આપવામાં આવી છે.
CBSE એ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓ ફ્રેન્ચ, જર્મન અથવા સ્પેનિશ જેવી વિદેશી ભાષાઓનો અભ્યાસ નિર્ધારિત ભાષાઓમાંથી એક અથવા વધારાની ચોથી ભાષા તરીકે ચાલુ રાખી શકે છે. તેણે પહેલેથી જ બે બિન-ભારતીય ભાષાઓનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વન-ટાઇમ છૂટછાટ પણ રજૂ કરી છે અને કહ્યું છે કે અમલીકરણને ટેકો આપવા માટે NCERT તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરી રહ્યું છે.
જોકે, અરજદારોનું કહેવું છે કે આ નીતિ અચાનક રજૂ કરવામાં આવી હતી, તેમાં પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે અને તે વિદ્યાર્થીઓના ચાલી રહેલા ભાષા શિક્ષણમાં ખલેલ પહોંચાડી શકે છે. તેઓએ સુધારેલા માળખા માટે લાયક શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને મૂલ્યાંકન પદ્ધતિઓની ઉપલબ્ધતા પર પણ સવાલો ઉઠાવ્યા છે.





