CBSE 12th Result 2026: CBSE દ્વારા ધોરણ 12ના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવતા પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે બોર્ડનું સરેરાશ પરિણામ 85.20% નોંધાયું છે, જે પાછલા વર્ષ 2025ના 88.39% પરિણામની તુલનામાં આશરે 3% જેટલું ઓછું છે. આ વર્ષની પરીક્ષા પદ્ધતિમાં મહત્વનો બદલાવ કરતા ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ દ્વારા ઉત્તરવહીઓની ચકાસણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે.
નોંધનીય છે કે ઓનલાઇન જાહેર કરાયેલું આ સ્કોરકાર્ડ પ્રોવિઝનલ ગણાશે, તેથી વિદ્યાર્થીઓએ તેમની અસલી માર્કશીટ પોતાની શાળામાંથી રૂબરૂ મેળવવાની રહેશે. આ ઉપરાંત, બોર્ડે આ વખતે પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં અને શાળાઓને કોઈપણ વિદ્યાર્થીને ટોપર તરીકે જાહેર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.
વેબસાઇટ અને એપ દ્વારા પરિણામ ક્યાં તપાસશો?
વિદ્યાર્થીઓ નીચે મુજબના પ્લેટફોર્મ પરથી પોતાનું રિઝલ્ટ મેળવી શકે છે:
વેબસાઇટ્સ: cbse.gov.in, results.nic.in, results.digilocker.gov.in અથવા umang.gov.in.
મોબાઇલ એપ: DigiLocker અને UMANG એપ પર પણ પરિણામ ઉપલબ્ધ છે.
પરિણામ જોવા માટે જરૂરી વિગતો
વેબસાઇટ પરથી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ નીચેની માહિતી તૈયાર રાખવી પડશે:
રોલ નંબર (Roll Number)
સ્કૂલ નંબર (School Number)
એડમિટ કાર્ડ ID/સેન્ટર નંબર
જન્મ તારીખ અને સિક્યોરિટી કોડ (Captcha)
ઇન્ટરનેટ વગર SMS દ્વારા રિઝલ્ટ મેળવવાની રીત
જો સર્વર ડાઉન હોય કે ઇન્ટરનેટની સુવિધા ન હોય, તો વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ ગુણ મેળવી શકે છે:
મોબાઇલમાં મેસેજ બોક્સ ઓપન કરો.
CBSE 12મું પરિણામ 2026 (રોલ નંબર) ટાઇપ કરો.
આ મેસેજને 7738299899 પર મોકલી આપો.
થોડી જ સેકન્ડોમાં તમારું પરિણામ ઇનબોક્સમાં આવી જશે.
આ પણ વાંચો: NEET-UG 2026ની એક્ઝામ રદ : 23 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, પેપર લીકની ફરિયાદ પછી લેવાયો નિર્ણય
DigiLocker પર માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી?
જે વિદ્યાર્થીઓનું APAAR ID લિંક થયેલું છે, તેઓ સીધું જ DigiLocker માંથી ડોક્યુમેન્ટ મેળવી શકશે. જેમની પાસે આ ID નથી, તેમણે એકાઉન્ટ બનાવવું પડશે.
DigiLocker એપમાં લોગિન કરી “Education” સેક્શનમાં જઈ CBSE પસંદ કરો.
“Class XII Marksheet 2026” પર ક્લિક કરી રોલ નંબર જેવી વિગતો ભરો.
“Fetch” બટન પર ક્લિક કરતા જ ડિજિટલ માર્કશીટ સ્ક્રીન પર દેખાશે.
પાસ થવા માટેના નિયમો અને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા
CBSE ના નિયમ મુજબ, દરેક વિષયમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 33% ગુણ મેળવવા અનિવાર્ય છે.
જો કોઈ વિદ્યાર્થી એક વિષયમાં નાપાસ થાય, તો તેને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપીને વર્ષ બચાવવાની તક મળશે.
પરંતુ, જો કોઈ બે કે તેથી વધુ વિષયોમાં નાપાસ થાય છે, તો તેણે સમગ્ર વર્ષ ફરીથી 12મા ધોરણની પરીક્ષા આપવી પડશે.





