captain baba ashok kharat case: મહારાષ્ટ્રમાં સ્વયંભૂ ધર્મગુરુ અશોક ખરાત ઉર્ફે “કેપ્ટન બાબા” સામે ઉભા થયેલા આરોપોએ માત્ર એક વ્યક્તિની કરતૂતો નહીં પરંતુ અંધશ્રદ્ધા, રાજકીય જોડાણ અને આર્થિક ગેરરીતિઓના ખતરનાક નેટવર્કને પણ ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે. 58 અશ્લીલ વીડિયો, 150થી વધુ મહિલાઓ સાથે શારીરિક શોષણના આરોપો, 1500 કરોડથી વધુની સંપત્તિ, 100 નકલી બેંક ખાતા અને કરોડોની હેરાફેરી—આ બધું મળીને આ કેસને મહારાષ્ટ્રના સૌથી મોટા વિવાદાસ્પદ આધ્યાત્મિક કૌભાંડો પૈકીનું એક બનાવી રહ્યું છે.
શિરડી પોલીસે 4 મેના રોજ અશોક ખરાતને એક છેતરપિંડી કેસમાં કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ બહાર આવેલી વિગતો અને SIT-EDની તપાસે સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો. અત્યાર સુધીમાં ખરાત વિરુદ્ધ 13 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં જાતીય શોષણ, આર્થિક છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપો સામેલ છે.
એક યુવતીને બે પુરુષોએ કરી પ્રેગ્નેંટ! થયા જુડવા બાળકો: કેસ જોઈ ચકરાઈ ગયા ડોક્ટરો, જાણો શું છે આખો મામલો
“દૈવી શક્તિ”ના નામે બચવાનો પ્રયાસ?
તપાસ એજન્સીઓના સૂત્રો અનુસાર પૂછપરછ દરમિયાન અશોક ખરાત સતત દાવો કરતો રહ્યો કે તેની પાસે “દૈવી શક્તિ” છે અને જે કંઈ થયું તે “દૈવી શક્તિઓના પ્રભાવ” હેઠળ થયું. તેણે મહિલાઓ સાથેના સંબંધોને “સંમતિ આધારિત” ગણાવવાનો પ્રયાસ કર્યો. ખરાતના વકીલે પણ કોર્ટમાં દલીલ કરી કે તમામ સંબંધો પરસ્પર સંમતિથી હતા. જોકે SIT આ દાવાઓથી સહમત નથી. તપાસકર્તાઓનું માનવું છે કે મહિલાઓને ધાર્મિક વિધિ, પૂજા અને આધ્યાત્મિક ઉપચારના નામે ફસાવવામાં આવતી હતી. પોલીસને શંકા છે કે કેટલીક મહિલાઓને નશીલી વસ્તુઓ કે દવાઓ આપવામાં આવતી હોઈ શકે છે. જોકે આ અંગે ફોરેન્સિક અને મેડિકલ પુરાવાઓની તપાસ હજુ ચાલુ છે. ખરાત પૂછપરછ દરમિયાન કહેતો રહ્યો કે તે “સમાધિ જેવી સ્થિતિ”માં રહેતો હતો અને પછી શું બનતું હતું તેનું ભાન રહેતું નહોતું.
58 વીડિયો અને હિડન કેમેરાથી ખુલ્યો ભેદ
આ કેસનો સૌથી ચોંકાવનારો પાસો એ છે કે આખા કૌભાંડનો પર્દાફાશ એક હિડન કેમેરા દ્વારા થયો. SIT સમક્ષ આપેલા નિવેદનમાં નીરજ જાધવે જણાવ્યું કે 2023માં તે પોતાની ગર્ભવતી પત્નીને આશીર્વાદ માટે ખરાત પાસે લઈ ગયો હતો. ત્યાં ધાર્મિક વિધિના બહાને તેની પત્ની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું. આ ઘટનાએ શંકા ઊભી કરતા નીરજે મિત્રની મદદથી ઓફિસમાં હિડન કેમેરો લગાવ્યો હતો. ત્યારબાદ અનેક અશ્લીલ વીડિયો સામે આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો માત્ર વ્યક્તિગત સંબંધો પૂરતા મર્યાદિત નહોતા, પરંતુ પ્રભાવ અને નિયંત્રણના સાધન તરીકે પણ વપરાતા હોઈ શકે છે. પોલીસ હવે આ વીડિયોના આધારે વધુ સંભવિત પીડિતાઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
100 બેંક ખાતા અને 70 કરોડનું લેણદેણ
કેસનો બીજો મહત્વપૂર્ણ ભાગ આર્થિક ગેરરીતિઓ સાથે જોડાયેલો છે. EDની તપાસ દરમિયાન ખુલાસો થયો કે કોપરગાંવની એક પતપેઢી બેંકમાં ખરાતના 56 અનુયાયીઓના નામે લગભગ 100 બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. આ ખાતાઓ મારફતે અંદાજે 70 કરોડ રૂપિયાનું લેણદેણ થયું હોવાનો આરોપ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મોટાભાગના ખાતાધારકોને પોતાનાં નામે ખાતા ખૂલ્યા હોવાની જાણ પણ નહોતી. તપાસમાં જાણવા મળ્યું કે તમામ ખાતાઓમાં નોમિની તરીકે અશોક ખરાતનો મોબાઈલ નંબર નોંધાયેલો હતો. ED હવે આ નાણાં ક્યાંથી આવ્યા અને ક્યાં વપરાયા તેની તપાસ કરી રહી છે. સૂત્રો અનુસાર નાસિક, મુંબઈ અને પુણે સહિત અનેક સ્થળોએ ખરાતની સંપત્તિઓ શોધવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ માને છે કે સંપત્તિનું વાસ્તવિક મૂલ્ય હજારો કરોડ સુધી પહોંચી શકે છે.
મહત્વપૂર્ણ સાક્ષીનું રહસ્યમય મૃત્યુ
કેસમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ઘટના રહી જીતેન્દ્ર શેલકેનું મૃત્યુ. શેલકે અશોક ખરાતના ટ્રસ્ટના ઉપાધ્યક્ષ હતા અને આર્થિક વ્યવહારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા. 17 એપ્રિલે તેઓ પરિવાર સાથે શિરડી જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર રસ્તા કિનારે ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. ખાસ બાબત એ છે કે મૃત્યુના માત્ર ત્રણ દિવસ પહેલાં જ EDએ તેમની પૂછપરછ કરી હતી. સામાજિક કાર્યકર્તા અંજલિ દામણિયા અને NCP(SP)ના ધારાસભ્ય રોહિત પવારે આ અકસ્માત અંગે શંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે શેલકે કેસના અત્યંત મહત્વપૂર્ણ સાક્ષી હતા અને તેમને અનેક અંદરની જાણકારી હતી. અકસાન્તના CCTV ફૂટેજ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. દામણિયાનું કહેવું છે કે ગાડી રસ્તાની એકદમ ડાબી બાજુ સીધી ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જે સામાન્ય અકસ્માત જેવું લાગતું નથી.
રાજકીય જોડાણ અને અંધશ્રદ્ધાનું જાળું
આ કેસે ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે કેવી રીતે કેટલાક સ્વયંભૂ ધર્મગુરુઓ રાજકીય અને સામાજિક પ્રભાવના કારણે વર્ષો સુધી અસ્પર્શ્ય બની જાય છે. તપાસ દરમિયાન ખરાતના અનેક રાજકીય નેતાઓ, મંત્રીઓ અને પ્રભાવશાળી લોકો સાથેના સંબંધોની પણ ચર્ચા થઈ રહી છે. મહારાષ્ટ્રમાં અગાઉ પણ કેટલાક કથિત આધ્યાત્મિક ગુરુઓ વિરુદ્ધ શોષણ અને છેતરપિંડીના કેસ સામે આવ્યા છે. પરંતુ કેપ્ટન બાબા કેસમાં જાતીય શોષણ, આર્થિક ગેરરીતિ અને રાજકીય પ્રભાવ—ત્રણેય બાબતો એકસાથે સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે.
અંધશ્રદ્ધા સામે સમાજ માટે ચેતવણી
કેપ્ટન બાબા કેસ માત્ર એક ક્રાઈમ સ્ટોરી નથી. આ ઘટના એ બતાવે છે કે કેવી રીતે અંધશ્રદ્ધા અને અંધભક્તિનો ઉપયોગ કરીને લોકોની લાગણીઓ, ભય અને વિશ્વાસનો દુરુપયોગ થઈ શકે છે. ઘણા લોકો પોતાની વ્યક્તિગત, પારિવારિક કે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ લઈને આવા બાબાઓ પાસે પહોંચે છે. પરંતુ જ્યારે આધ્યાત્મિક માર્ગદર્શનના નામે શોષણ અને છેતરપિંડી થવા લાગે ત્યારે તે સમાજ માટે ગંભીર ચેતવણી બની જાય છે. હવે સમગ્ર કેસમાં SIT, નાસિક પોલીસ અને EDની તપાસ પર સૌની નજર છે. કોર્ટમાં ચાલતી કાર્યવાહી આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા કરી શકે છે.





