Home International Canada Pakistan 47 Million Dollar Aid India Relations Mark Carney

ભારત સાથે સંબંધો સુધારી રહેલા આ દેશે પાકને આપી કરોડો ડોલરની મદદ : જાણો શું છે સમગ્ર મામલો

Canada Pakistan Aid
Image Credit: @AnitaAnandMP/x
Published by: Nirali Gohil
Last Updated: Jul 22, 2026, 07:29 AM IST

Canada Pakistan Aid: ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજદ્વારી સંબંધોમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો, જેના કારણે દ્વિપક્ષીય સંબંધો ઐતિહાસિક રીતે સૌથી ખરાબ તબક્કામાં પહોંચ્યા હતા. જોકે હવે નવા વડાપ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વમાં બંને દેશો ફરી સંબંધોને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને રાજદ્વારી સ્તરે સકારાત્મક સંકેતો પણ મળી રહ્યા છે. આ દરમિયાન કેનેડાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને પાકિસ્તાન માટે 47 મિલિયન ડોલરથી વધુની આર્થિક સહાય જાહેર કરી છે. કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદની પાકિસ્તાન મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે એક તરફ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ પાકિસ્તાન ફરીથી આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાનને 47 મિલિયન ડોલરથી વધુની સહાય

કેનેડાના વિદેશ મંત્રાલય 'ગ્લોબલ અફેર્સ કેનેડા' અનુસાર, અનિતા આનંદે પાકિસ્તાન માટે કુલ 47 મિલિયન ડોલરથી વધુની સહાય જાહેર કરી છે. આમાંથી અંદાજે 2.2 મિલિયન ડોલર ઇન્ટરપોલ, સંયુક્ત રાષ્ટ્રના ડ્રગ્સ એન્ડ ક્રાઇમ ઓફિસ (UNODC) અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ સાથે સંકળાયેલા સુરક્ષા અને કાયદા અમલીકરણના પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવશે. આ ઉપરાંત લગભગ 45 મિલિયન ડોલરની વધારાની સહાય કેનેડા સમર્થિત ત્રણ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે જાહેર કરવામાં આવી છે. આ નાણાંનો ઉપયોગ સામાજિક વિકાસ, સંસ્થાગત મજબૂતી અને અન્ય સહયોગી યોજનાઓમાં થવાનો છે.

પાકિસ્તાને સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવ્યો

કેનેડાની વિદેશ મંત્રી સાથેની બેઠક દરમિયાન પાકિસ્તાને ભારત સાથે જોડાયેલો સિંધુ જળ સંધિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે જણાવ્યું કે તેઓ કેનેડા સહિત મિત્ર દેશોનું સમર્થન ઇચ્છે છે જેથી ભારત સાથે સિંધુ જળ સંધિ ફરી સંપૂર્ણ રીતે અમલમાં આવે. તેમણે ભારત પર પાણીનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવતા આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિના પાલનની માંગ પણ કરી.

ભારત તરફથી આ મુદ્દે આ અહેવાલ સુધી કોઈ નવી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પણ વાંચો: 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ! : આ દેશે લીધો ઐતિહાસિક નિર્ણય

નિજ્જર કેસ બાદ ભારત-કેનેડા સંબંધોમાં આવ્યો હતો તણાવ

પૂર્વ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના કાર્યકાળ દરમિયાન હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ગંભીર રાજદ્વારી વિવાદ સર્જાયો હતો. ટ્રૂડોએ જાહેરમાં ભારતની સંભવિત સંડોવણી અંગે શંકા વ્યક્ત કરી હતી, જેને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધી હતી અને તેને આધારવિહોણો આરોપ ગણાવ્યો હતો. ત્યારબાદ બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢવા સહિતના અનેક કડક રાજદ્વારી પગલાં લીધા હતા. ભારતે સતત એવો આરોપ લગાવ્યો હતો કે, કેનેડા પોતાની ધરતી પરથી કાર્યરત ખાલિસ્તાન સમર્થક તત્વો સામે પૂરતી કાર્યવાહી કરી રહ્યું નથી.

કેનેડિયન પોલીસને ભારત વિરુદ્ધ પુરાવા મળ્યા નહીં

તાજેતરમાં રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)એ જણાવ્યું હતું કે નિજ્જર હત્યા કેસની તપાસ દરમિયાન ભારતીય અધિકારીઓની સંડોવણી દર્શાવતા કોઈ પુરાવા મળ્યા નથી. RCMPના ડેપ્યુટી કમિશનર લિસા મોરલેન્ડે જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસ, નોંધાયેલા કેસ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે ભારતીય અધિકારીઓની સંડોવણી સાબિત થતી નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, ભારત સરકારે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો.

માર્ક કાર્ની બાદ સંબંધોમાં જોવા મળી રહ્યો છે બદલાવ

માર્ક કાર્ની કેનેડાના વડાપ્રધાન બન્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ફરી નરમાઈ જોવા મળી રહી છે. બંને દેશો વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સહયોગને ફરી ગતિ આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે, અમેરિકા પર આર્થિક નિર્ભરતા ઘટાડવા માટે કેનેડા ભારત જેવા મોટા બજાર સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા ઇચ્છે છે.

ભારત-કેનેડા વચ્ચે આર્થિક સહયોગ પણ વધ્યો

તાજેતરના મહિનાઓમાં બંને દેશોએ યુરેનિયમ અને મહત્વપૂર્ણ ખનિજોના પુરવઠા સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ સમજૂતીઓ કરી છે. ઉપરાંત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (Comprehensive Economic Partnership Agreement)ને આગળ વધારવા માટે પણ બંને દેશો સહમત થયા હોવાનું જણાવાયું છે. આ પગલાં દર્શાવે છે કે, રાજકીય મતભેદો હોવા છતાં બંને દેશો વેપાર અને વ્યૂહાત્મક સહયોગને નવી દિશા આપવા માંગે છે.

આ પણ વાંચો: '15 સપ્ટેમ્બર પહેલાં અમેરિકા પહોંચી જાઓ!' : અમેરિકાના નવા ઇમિગ્રેશન નિયમો પહેલા નિષ્ણાતોએ ભારતીય વિદ્યાર્થીઓને કેમ આપી આવી સલાહ

મોદી અને માર્ક કાર્નીની મુલાકાતે આપ્યો સકારાત્મક સંદેશ

જૂનમાં ફ્રાન્સમાં યોજાયેલા G7 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠક બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે એક વર્ષથી ઓછા સમયમાં બંને નેતાઓ વચ્ચે આ ચોથી મુલાકાત હતી, જે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની બંને દેશોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, વેપાર, રોકાણ અને ભવિષ્યના સહયોગ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આગળ શું?

એક તરફ કેનેડા ભારત સાથેના સંબંધોને ફરી મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાનને કરોડો ડોલરની સહાય જાહેર કરીને દક્ષિણ એશિયામાં પોતાની રાજદ્વારી હાજરી પણ જાળવી રાખવા માંગે છે. આગામી સમયમાં ભારત-કેનેડા સંબંધો કઈ દિશામાં આગળ વધે છે અને પાકિસ્તાનને મળેલી આ સહાયનો પ્રાદેશિક રાજનીતિ પર શું પ્રભાવ પડે છે, તેના પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now