અત્યારે શેરમાર્કેટમાં જે પ્રમાણે ઉઠલપાઠલ જોવા મળી રહી છે, ઈન્વેસ્ટરોને પોતાનો પોર્ટફોલિયો જોતા ડર લાગે છે. જે શેર્સમાં રૂપિયા રોક્યા છે તેના ભાવ પડી જ રહ્યા છે. તેવામાં જે લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરેલી છે, અથવા SIP કરવાનું જે લોકો વિચારી રહ્યા છે, તેમનામાં ડર જોવા મળી રહ્યો છે. શેર બજારમાં છેલ્લા 4 મહિનાથી ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની અસર મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન પર પણ જોવા મળી છે.
SIPમાં રોકાણ કરવું કે નહીં?
શેરબજાર તૂટવાના કારણે રોકાણકારોમાં એ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે હવે મ્યુચ્યુઅલ ફંડની SIPમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, ઘણા લોકો એવું કહી રહ્યા છે કે મ્યુચ્યુઅલ ફંડમાં નફો તો દેખાઈ રહ્યો નથી, તો પછી તેમાં રોકાણ કરી રાખવાનો શું મતલબ?... જો કે બજાર નિષ્ણાંતોના મતે લાંબા સમય માટે જે લોકો મ્યુચ્યુઅલ ફંડની SIPમાં રોકાણ કરે છે, તેમણે ગભરાવવાની જરૂર નથી. નિષ્ણાંતોના મતે SIPમાં રોકાણ યથાવત રાખવું જોઈએ. મહત્વનું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સૌથી વધારે વાતો રિટેઈલ રોકાણકારો જ કરતા હોય છે. જે લોકોએ SIPમાં રોકેલા રૂપિયા સારો નફો બતાવે તો બધાને ગમતું હોય છે, પરંતુ જો પોર્ટફોલિયો લીલા રંગથી લાલ રંગનો થાય તો લોકો ગભરાઈ જાય છે, અને ઉતાવળમાં આવીને SIP વેચી મારે છે, અથવા રોકાણ બંધ કરી દે છે.
કોરોના મહામારી સૌથી મોટું ઉદાહરણ
કોરોના મહામારી દરમિયાન પણ શેરમાર્કેટ ખૂબ નીચે રહ્યુ હતું, આ સમયે શેરમાર્કેટમાં 40 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. એ સમયે પણ ઘણા લોકોએ એવું વિચાર્યું હતું કે પાયમાલ થઈ જઈશું એટલા માટે ગભરાઈને મ્યુચ્યુઅલ ફંડમાં SIP રોકી દીધી હતી. પોર્ટફોલિયોમાં તે સમયે ઘટાડો જોઈને ઘણા રોકાણકારોએ ઓછા ભાવમાં નુકસાન કરીને SIP વેચી મારી હતી.
મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંતનું માર્ગદર્શન જરૂરી
જોકે સિક્કાની બીજી બાજુ પણ હોય છે, બીજી બાજુ એ છે કે જે રોકાણકારોએ કોરોનાકાળમાં ધીરજ રાખીને બેસ્યા રહ્યા, અને માર્કેટ પડ્યા પછી પણ તેમણે રોકાણ વધાર્યું , તે લોકોને પૂછી જુઓ કે તેમણે તે બાદ કેટલો નફો કમાવ્યો. મ્યુચ્યુફલ ફંડ રોકાણકારોને સાચુ માર્ગદર્શન મળી રહે તે અતિ આવશ્યક છે.
જ્યારે પોર્ટફોલિયો લાલ હોય ત્યારે શું કરવુ
નિષ્ણાંતોના મતે બજાર જ્યારે તૂટે ત્યારે રોકાણ વધારવું જોઈએ. બજાર તૂટ્યુ હોય ત્યારે સારા ફંડમાં SIPમાં રોકાણ કરવું જોઈએ. કારણકે જેમ શેરબજારમાં તેજી આવશે, તેમ મ્યુચ્યુફલ ફંડ રોકાણકારોને ફાયદો થશે. હા મ્યુચ્યુઅલ ફંડ ટૂંકા ગાળાના રોકાણકારોને આંચકો આપે છે, પરંતુ લાંબા ગાળામાં જે રોકાણ કરે તેમને નુકસાન થતુ નથી.
'પોઝ' સુવિધાનો પણ એક વિકલ્પ
જો તમે અવઢવમાં છો, તો પછી SIP બંધ કરવાને બદલે, તમે 'પોઝ' સુવિધાનો લાભ લઈ શકો છો. આ સાથે તમારે 1 થી 6 મહિના સુધી રૂપિયા રોકવાની જરૂર નથી. આ સિવાય, તમે SIPને શરૂ કરવાનું વિચારી રહ્યા છો, પછી તમારે મ્યુચ્યુઅલ ફંડની પસંદ કરવામાં કાળજી લેવી જ જોઇએ, તમે નાણાકીય સલાહકારની સહાય લઈ શકો છો. પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન હોવું જોઈએ.




















