Uttarakhand Accident : ઉત્તરાખંડમાં નરેન્દ્રનગર નજીક કુંજપુરી–હિંદોળાખાલ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો જેમાં મુસાફરોથી ભરેલી બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. બસમાં 29થી વધુ લોકો સવાર હતા, જેમાંથી 17થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભયાનક અકસ્માતમાં 5 ગુજરાતીના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એક ગુજરાતી મુસાફરની ઓળખ થઈ ગઈ છે.
પાર્થ સારથી જોશીનું મોત
ઓળખાયેલા મૃતક વડોદરાના પાર્થ સારથી મધુસુદન જોશી (ઉંમર 60) છે. તેઓ વાઘ બકરી ચા કંપનીમાં નોકરી કરતા હતા. જે વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં ખત્રી પોળમાં રહેતા હતા. પાર્થભાઈ 19 નવેમ્બરે વડોદરાથી ટ્રેન મારફતે મથુરા અને પછી દેહરાદૂન પહોંચ્યા હતા. તેઓ ઋષિકેશમાં એક શિબિરમાં ભાગ લેવા માટે ગયા હતા અને 1 ડિસેમ્બરે વડોદરા પરત આવવાના હતા. દુર્ઘટના બાદ વડોદરા વહીવટીતંત્ર તેમની મૃતદેહને પરત લાવવાની કાર્યવાહી હાથધરી છે.
પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
દુર્ઘટના બનતા જ SDRF ની 5 ટીમો, પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ખીણ ઊંડી હોવાથી બચાવકાર્યમાં ભારે મુશ્કેલીઓ આવી રહી હતી, પરંતુ ટીમોએ ઝડપથી પ્રતિક્રિયા આપી અનેક ઘાયલ મુસાફરોને સલામત બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત અને ઉત્તરાખંડ બંનેમાં શોક અને ચિંતા ફેલાવી છે. પાર્થ જોશીના પરિવાર પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે તેઓ શિબિર પૂર્ણ કરીને પરત ફરવાની તૈયારીમાં હતા ત્યારે આ દુર્ઘટના બની.





















