રાજકોટ શહેરમાં મેગા ડિમોલેશન ડ્રાઈવને લઈને તંત્ર સક્રિય બન્યું છે. સોમવારથી જંગલેશ્વર વિસ્તારમાં બુલડોઝર ગરજશે અને 23 ફેબ્રુઆરીથી 1400થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. મનપા દ્વારા પ્રથમ ફેઝમાં 15 મીટરનો ટીપી રોડ ખુલ્લો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે વર્ષોથી ઉભા થયેલા અવરોધો દૂર થશે.
દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળશે
મનપા અને પોલીસ કાફલા સાથે 15 મીટરના રોડ પર ખડકાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળશે. વોટર વર્કસ સહિતના અન્ય વિભાગોના અધિકારીઓએ સ્થળ પર જઈ અસરગ્રસ્તોને સમજાવટ કરી છે અને કપાતમાં આવતા મકાન-દુકાનો પર ચિન્હો પણ અંકિત કરી દેવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જંગલેશ્વર વિસ્તારમાં આજથી જ ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેથી કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
ખાસ કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો
સ્થાનિકો અને વેપારીઓએ રમઝાન માસ અને રોજીરોટીનો હવાલો આપી તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થા અથવા થોડો સમય આપવા અપીલ કરી છે. તેમ છતાં દર વર્ષે ચોમાસામાં સર્જાતી રેસ્ક્યુ જેવી પરિસ્થિતિને નિવારવા માટે મનપા કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કલેક્ટર હસ્તકની જમીન પર આવેલા દબાણોનો મુદ્દો હાલ ટ્રિબ્યુનલમાં વિચારાધીન છે, જેથી આગામી સમયમાં તે અંગે પણ મોટો નિર્ણય આવી શકે છે. શહેરમાં આ મેગા ડ્રાઈવને લઈને ચર્ચા અને ચિંતા બંનેનું માહોલ જોવા મળી રહ્યો છે.




















