નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ 2026માં કૃષિ ક્ષેત્ર માટે પરિવર્તનકારી જાહેરાતો કરવામાં આવી છે. સરકાર હવે પરંપરાગત ખેતીની સાથે 'હાઈ વેલ્યુ' પાકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ બજેટમાં ચંદન, કાજુ, કોકો, અખરોટ, બદામ અને નાળિયેર જેવા રોકડિયા પાકોની ખેતી કરતા ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. આ પગલાનો મુખ્ય હેતુ ખેડૂતોની આવકમાં વધારો કરવો અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઉભી કરવાનો છે.
નાળિયેર અને કાજુ ઉત્પાદનમાં ભારત બનશે આત્મનિર્ભર
બજેટ દરમિયાન નાણામંત્રીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં નાળિયેરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને આશરે 3 કરોડ લોકો તેના વ્યવસાય સાથે જોડાયેલા છે. ઉત્પાદકતા વધારવા માટે સરકાર એક ખાસ યોજના અમલમાં મૂકશે, જેના હેઠળ જૂના અને બિન-ઉત્પાદક નાળિયેરના વૃક્ષોને હટાવીને નવી ઉચ્ચ ગુણવત્તાની જાતોના રોપા રોપવામાં આવશે. આ ઉપરાંત કાજુ અને કોકોના ઉત્પાદન માટે પણ અલગ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જેથી ભારત કાચા કાજુની આયાત પર નિર્ભરતા ઘટાડી નિકાસમાં વધારો કરી શકે.
ચંદનની ખેતીને મળશે પ્રોત્સાહન
ભારતીય ચંદનનું સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ પુનઃસ્થાપિત કરવા માટે સરકાર રાજ્યો સાથે મળીને કામ કરશે. ચંદનની ખેતીના સંરક્ષણ અને તેના Value Chain વિકાસ પર ધ્યાન આપવામાં આવશે, જેથી વન વિસ્તાર પર નિર્ભર સમુદાયો અને ખેડૂતોને આર્થિક મોટો ફાયદો મળે. સરકારનું આ પગલું ચંદનની ખેતીને સુરક્ષિત અને વધુ નફાકારક બનાવશે.
ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ માટે વિશેષ પ્રોત્સાહન
ઉત્તર-પૂર્વ ભારત અને અન્ય સાનુકૂળ વિસ્તારોમાં અખરોટ, પાઈનનટ્સ અને બદામ જેવા પૌષ્ટિક પાકોના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે. સરકાર આ ઉચ્ચ કિંમતના પાકોમાં રોકાણ વધારવા માટે ખેડૂતોને આર્થિક અને ટેકનિકલ મદદ પૂરી પાડશે. બજેટ 2026માં નાના અને સીમાંત ખેડૂતોને કેન્દ્રમાં રાખીને ખેતીને એક ટકાઉ અને લાભદાયી વ્યવસાય બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.



















