વડોદરાના ગોરવા ગામના ગેટ પાસે પાનના ગલ્લા પાસે થયેલી સામાન્ય બોલાચાલી હત્યામાં ફેરવાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ પોલીસ સ્ટેશનથી નજીક આવેલા વિસ્તારમાં સાળા-બનેવી વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
બોલાચાલી હત્યામાં ફેરવાઈ
આક્ષેપ મુજબ સંદીપ વાઘેલા અને સોહિલ રાણાએ અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહીમભાઈ ઘાંચી પર ભારે હથિયારથી માથામાં પ્રહાર કર્યા હતા. માથામાં ગંભીર ફટકા લાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તપાસ્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
આરોપી સંદીપ વાઘેલાની ધરપકડ કરી અન્ય એકની શોધખોળ
ઘટના બાદ ગોરવા પોલીસ સ્ટેશનએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સંદીપ વાઘેલા અને સોહિલ રાણા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસ બાદ સંદીપ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપી સોહિલ રાણાની શોધખોળ ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પોલીસ સ્ટેશનની નજીક જ બનેલી આ હત્યાની ઘટનાએ કાયદો-વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ પોલીસે ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.




















