ઝારખંડના દેવઘર બાબા એટલે બૈદ્યનાથના શહેરમાં થતા લગ્નોની દેશ-વિદેશમાં ચર્ચાઓ થતી હોય છે, કારણ કે વિશ્વ પ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ બાબા બૈદ્યનાથ ધામમાં અનેક લગ્નો થાય છે જે ચર્ચાનું કેન્દ્ર રહે છે. જેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં બિહારના એક યુવકે સાત સમંદર પાર ઈંગ્લેન્ડથી આવેલી કન્યા સાથે બાબા નગરીમાં લગ્ન કર્યા હતા, જ્યારે કેટલાક વિદેશી યુવકોએ ભારતીય કન્યાઓએ સાથે અહીં લગ્ન કર્યા છે. પરંતુ આજે અમે એક એવા લગ્ન વિશે વાત કરી રહ્યાં છીએ જેમાં વરમાળા તો થઈ પરંતુ સાત ફેરા ન થઈ શક્યા.
દેવઘર જિલ્લાના મોહનપુર વિસ્તારના ઘોરમારામાં કડકડતી ઠંડી વચ્ચે એક યુવકને લગ્ન કરવા મોંઘા પડ્યા. જી હા... ઠંડીને કારણે વર કન્યાના લગ્ન થાય તે પહેલા જ લગ્ન તૂટી ગયા.
ઘોરમારાના વિસ્તારનો સ્થાનિક રહેવાસી અર્ણવ નામના છોકરાના લગ્ન અંકિતા નામની છોકરી સાથે થવાના હતા. બંને પક્ષની સંમતિથી લગ્ન એક ખાનગી ગાર્ડન કેમ્પસમાં થઈ રહ્યા હતા. સંપૂર્ણ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી અને સમયની સાથે તમામ વિધિઓ પણ પૂર્ણ થઈ હતી.
આ લગ્નમાં સૌપ્રથમ તો બંને પક્ષના મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારબાદ ખુલ્લા આકાશ નીચે વરમાળાનું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યાં વરમાળાનો કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ બધા લગ્ન મંડપમાં પહોંચ્યા આ લગ્નનો મંડપ પણ ખુલ્લા આકાશ નીચે જ તૈયાર કરવામાં આવ્યો હતો.
વરમાળા અને જમણવાર બાદ વરરાજા પણ મંડપમાં બેઠા હતા. પંડિતે પણ લગ્નની વિધિ શરૂ કરી. આ દરમિયાન વરરાજો અચાનક ધ્રૂજવા લાગ્યો અને અચાનક જ બેભાન થઈ ગયો હતો. વરરાજાનું શરીર ઠંડુ પડી ગયું જે બાદ પરિવારના સભ્યોએ તાત્કાલિક વરરાજાને રૂમમાં લઈ ગયા અને તેના હાથ-પગ ઘસવા લાગ્યા.
આ દરમિયાન એક સ્થાનિક ડૉક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા. વરરાજાને ઠંડીથી રાહત મળે તે માટે ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. લગભગ એકથી દોઢ કલાક બાદ વરરાજાની હાલત સામાન્ય જણાઈ હતી. વરરાજા ફરીથી મંડપમાં બેસવા તૈયાર હતો, પરંતુ બન્યું એવુ કે કન્યાએ તો ફેરા લેવાની જ ના પાડી દીધી.
આ મામલે કન્યાએ જણાવ્યું કે, છોકરાને કોઈ બીમારી છે, તેથી હવે યુવકની સાથે લગ્ન નહીં કરુ. દુલ્હનની શંકા વધી ગઈ કારણ કે સામાન્ય રીતે વરરાજાના લગ્ન કરવા માટે જાન લઈને કન્યાના ઘરે જતા હોય છે પણ આ કિસ્સામાં કન્યા પક્ષને વરરાજાના ઘરે બોલાવવામાં આવ્યો હતો અને લગ્નનું આયોજન પણ એક ખાનગી ગાર્ડનમાં કરવામાં આવ્યું હતુ. આ તમામ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે વિવાદ વધી ગયો હતો અને જોતજોતામાં સવારે 5 વાગી ગયા.
સમગ્ર ઘટનાની જાણકારી મોહનપુર પોલીસ સ્ટેશનને કરવામાં આવી, આ અંગેની માહિતી મળતાં જ મોહનપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રિયરંજન કુમાર પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા અને પોલીસે બંને પક્ષોને સમજાવ્યા, પરંતુ કોઈ સમજૂતી થઈ શકી નહીં. સવારના 8 વાગ્યા બાદ પણ મામલો થાળે ન પડતા આખરે વરરાજાને કન્યા વગર જ જાન લઈને પરત ફરવાનો વારો આવ્યો.
આ મામલે પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રિયરંજન કુમારે જણાવ્યું કે, લગ્ન એક ખાનગી ગાર્ડનના કેમ્પસમાં થઈ રહ્યા હતા. ખુલ્લા આકાશ નીચે વરમાળા અને લગ્ન મંડપ બાંધવામાં આવ્યા હતા. જો કે, લગ્ન મંડપમાં જ વરરાજા બેહોશ થઈ ગયો હતો. જેની સારવાર બાદ વર સામાન્ય થઈ ગયો હતો. વરરાજા ફરીથી લગ્નમંડપમાં બેઠા કે તરત જ કન્યાએ લગ્ન કરવાની મનાઈ કરી દેતા બંને પક્ષોની સંમતિથી લગ્ન રદ કરવામાં આવ્યા અને બંને પક્ષ પોતપોતાના ઘરે પરત ફર્યા હતા.






