Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે તબાહી સર્જાઇ છે. આ દરમિયાન રસ્તાઓ બ્લોક થઇ જતાં અનેક પ્રવાસીઓ પણ ફસાયા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનમાં 50 ગુજરાતી ફસાયા છે. ફસાયેલામાં બનાસકાંઠા અને ગાંધીનગરના લોકોનો સમાવેશ છે. બનાસકાંઠા કલેક્ટરે ફસાયેલા લોકોનો સંપર્ક કર્યો. રામબન કલેક્ટર સાથે પણ બનાસકાંઠા કલેક્ટરે વાતચીત કરી. ગુજરાતી પ્રવાસીઓ શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા. ફસાયેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાનો કલેક્ટરનો દાવો છે. તમામ મુસાફરોને નજીકના કેમ્પમાં લઈ જવાયા.
જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.
ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી છે. તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે. પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ સેન્ટ્રલ આઈ.બી. સહિત જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી ગુજરાતના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી છે.






