ચીનના શાંઘાઈથી જાપાનની રાજધાની ટોક્યો જતી ફ્લાઇટમાં 191 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા જ્યારે વિમાન અચાનક 26,000 ફૂટની ઊંચાઈથી ઝડપથી નીચે પડવા લાગ્યું હતું. આ ઘટના 30 જૂનના રોજ જાપાન એરલાઇન્સ અને તેના ઓછા લો-કાસ્ટ ભાગીદાર સ્પ્રિંગ જાપાનની ફ્લાઇટમાં બની હતી.
ફ્લાઇટમાં શું થયું?
શાંઘાઈ પુડોંગ એરપોર્ટથી ઉડાન ભર્યા પછી જ્યારે ફ્લાઇટ લગભગ 36,000 ફૂટની ઊંચાઈ પર હતી, ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. 10 મિનિટમાં જ વિમાન લગભગ 10,500 ફૂટની ઊંચાઈ પર આવી ગયું હતું. આ સમય દરમિયાન ઓક્સિજન માસ્ક આપમેળે બહાર આવી ગયા અને વિમાનમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
મુસાફરોનો ડરનો માહોલ અને...
એક મુસાફરે જણાવ્યું કે,"મેં હળવો ધડાકો સાંભળ્યો અને થોડીક સેકન્ડમાં ઓક્સિજન માસ્ક નીચે આવી ગયા. એર હોસ્ટેસ રડી રહી હતી અને બૂમો પાડી રહી હતી કે તાત્કાલિક માસ્ક પહેરો, વિમાનમાં કોઈ સમસ્યા છે" તે સમયે કેટલાક લોકો સૂઈ રહ્યા હતા અને ડરથી જાગી ગયા. ઘણા મુસાફરો એટલા ડરી ગયા કે તેઓએ તેમના પરિવારોને તેમના વસિયતનામા જેવા સંદેશા, બેંક પિન નંબર અને વીમાની વિગતો મોકલવાનું શરૂ કર્યું. એક મુસાફરે કહ્યું, "મેં રડતી વખતે મારા વીમા અને કાર્ડની વિગતો મેસેજ કરી, એવું લાગતું હતું કે હવે બચવું મુશ્કેલ છે."
ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી
પાયલોટે તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરી અને ફ્લાઇટને ઓસાકાના કાન્સાઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ વાળવામાં આવી. ફ્લાઇટ રાત્રે 8:50 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરાણ કરી. સદનસીબે, કોઈને જાનહાની થઈ નથી.
વળતર અને તપાસ
એરલાઇને તમામ અસરગ્રસ્ત મુસાફરોને ૧૫,૦૦૦ યેન (લગભગ ₹6,900) પરિવહન વળતર અને એક રાત્રિ રહેવાની વ્યવસ્થા પૂરી પાડી હતી. ઉપરાંત વિમાનના દબાણ પ્રણાલીમાં ખામી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
બોઇંગ પર ફરી પ્રશ્નો ઉભા થયા
નોંધનીય છે કે તાજેતરમાં બોઇંગ વિમાન વધુ એક અકસ્માત માટે સમાચારમાં આવ્યું છે. અમદાવાદ-લંડન ફ્લાઇટ ક્રેશમાં 270થી વધુ લોકોના મોત થયા હતા. હવે આ ઘટનાએ ફરીથી બોઇંગના સલામતી ધોરણો પર પ્રશ્નો ઉભા કર્યા છે.





















