ગાંધીનગર: ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. હેમાંગ જોશીએ પત્રકાર પરિષદ સંબોધી આગામી દિવસોમાં યુવા મોરચા દ્વારા હાથ ધરવામાં આવનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે યુવાનોને સંગઠન, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાના હેતુથી રાજ્યવ્યાપી અનેક જનજાગૃતિ અને પ્રેરણાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.
કારોબારી બેઠકમાં આગામી કાર્યક્રમો પર થશે મંથન
ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું કે પ્રદેશ યુવા મોરચાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી કાર્યક્રમો, સંગઠનના વિસ્તરણ અને યુવાનો સુધી પહોંચવા માટેની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં યુવા મોરચાના કાર્યકરોને વધુ સક્રિય બનાવવાના પ્રયાસો પણ હાથ ધરાશે.
10 હજારથી વધુ નોટબુકનું વિતરણ કરાશે
યુવા મોરચા દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી 10 હજારથી વધુ નોટબુકનું વિતરણ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતના પ્રસંગે આ નોટબુક વિદ્યાર્થીઓને ભેટરૂપે આપવામાં આવશે. આ અભિયાન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયતા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
'યુવા દિશા દર્શન સંવાદ'થી કારકિર્દી માર્ગદર્શન અપાશે
17 વર્ષથી વધુ ઉંમરના યુવાઓ માટે 'યુવા દિશા દર્શન સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને કારકિર્દી, કૌશલ્ય વિકાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રોજગારની તકો અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેથી તેઓ પોતાના ભવિષ્ય અંગે યોગ્ય દિશામાં આગળ વધી શકે.
નારી શક્તિ અને નવા મતદારો પર વિશેષ ભાર
ભાજપ યુવા મોરચા દ્વારા મહિલાઓને રાજકીય ક્ષેત્રમાં વધુ સક્રિય રીતે જોડવાના હેતુથી 'નારી શક્તિ' વિષયક વિશેષ કાર્યક્રમો યોજાશે. સાથે જ પ્રથમ વખત મતદાન કરનારા નવા મતદારોનો સંપર્ક કરીને તેમને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવવા માટે રાજ્યવ્યાપી સંપર્ક અભિયાન પણ હાથ ધરવામાં આવશે.
યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો સામે જાગૃતિ લાવાશે
ડૉ. હેમાંગ જોશીએ આરોપ લગાવ્યો કે કેટલાક રાજકીય પક્ષો યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ યુવા મોરચા આવા યુવાનોને સકારાત્મક દિશામાં આગળ વધારવા અને રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિઓ સાથે જોડવા માટે સતત પ્રયાસ કરશે. તેમણે જણાવ્યું કે સંગઠનનો હેતુ યુવાશક્તિને રચનાત્મક કાર્યમાં જોડવાનો છે.
આ પણ વાંચો: જામનગરના દરેડ GIDCમાં રોજ 3થી 4 કલાક પાવર કટ! : 500થી વધુ ઉદ્યોગકારોનો PGVCL સામે આક્રોશ, ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી
ડિ-એડિક્શન અભિયાન પણ શરૂ થશે
યુવાનોમાં વધતા વ્યસનના પડકારને ધ્યાનમાં રાખીને યુવા મોરચા દ્વારા ડિ-એડિક્શન અભિયાન પણ ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત યુવાનોને આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડીને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં આવશે. વિવિધ સંસ્થાઓના સહયોગથી રાજ્યભરમાં જાગૃતિ કાર્યક્રમો યોજવાની પણ જાહેરાત કરવામાં આવી.





