ગુજરાતમાં આગામી મંત્રીમંડળના રૂપરેખા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગાંધીનગર પહોંચ્યા છે. તેમનો આગમન તાત્કાલિક રાજકીય ગતિવિધિઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. તેઓ ગાંધીનગર સર્કિટ હાઉસ પર પહોંચ્યા અને તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા હતાં.
CM સાથે મહત્વની બેઠક
જે પી નડ્ડા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક કરશે, જેમાં આગામી મંત્રીમંડળની રચનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ ધારાસભ્યો સાથે અલગથી બેઠક પણ કરી શકે છે, ખાસ કરીને તેઓ સાથે જેઓને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું શક્ય છે.
ધારાસભ્યોને મોડી રાત્રે કરાશે જાણ
સૂત્રોના મતે, મોડી રાત્રે ભાજપના હાઈ કમાન્ડ તરફથી પસંદ કરાયેલ ધારાસભ્યોને ફોન દ્વારા જાણ કરવામાં આવશે કે તેઓ આવતીકાલે મંત્રી તરીકે શપથ લેશે. આ ઘટનાક્રમ સાથે રાજ્યના રાજકીય વર્તુળમાં મોટી ઉત્સુકતા જોવા મળી રહી છે.
નવું મંત્રીમંડળ, કદાચ 22થી 24 મંત્રીઓનું બને
હાલની અંદરની ચર્ચાઓ અનુસાર, નવાં મંત્રીમંડળમાં કુલ 22 થી 24 મંત્રી સામેલ થવાની શક્યતા છે. તેમાં જૂના અનુભવી ચહેરાઓ સાથે યુવા અને નવા નામોને પણ સ્થાન મળી શકે છે. આવતીકાલે સવારે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની છે. આખા રાજ્યની નજર હવે એ દિશામાં છે કે કોણ કોના સ્થાન પર આવશે અને કોને મળશે જવાબદારી.






