ઇન્ડિયન પ્રીમિયર લીગની 19 મી સીઝન માટે મિની-ઓક્શન 16 ડિસેમ્બર, 2025 ના રોજ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાયું હતું. ઓક્શનના ત્રણ દિવસ પછી, 2024 ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. એક રિપોર્ટ અનુસાર, ત્રણ વખતની IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) તેમનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. IPL 2026 ની શરૂઆત પહેલાં વેચાણ માટે વિચારણા કરાયેલી આ ત્રીજી ફ્રેન્ચાઇઝ છે. પ્રથમ વેચાણ માટે 2025 ની ચેમ્પિયન RCB નું નામ હતું. પછી, IPL ની સૌથી પ્રથમ વિનર ટીમ RR ના વેચાણના રિપોર્ટ્સ આવ્યા હતા.
KKR માં કોનો હિસ્સો વેચાશે?
મનીકન્ટ્રોલના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન, જુહી ચાવલા અને જય મહેતાની માલિકીની કોલકાતા નાઈટ રાઈડર્સ આગામી વર્ષે એટલે કે, 2026 માં વેચાણ પ્રક્રિયા શરૂ કરી શકે છે. જોકે, રિપોર્ટમાં જણાવાયું છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની તુલનામાં કોલકાતામાં માત્ર એક નાનો હિસ્સો વેચાશે. નોંધનીય છે કે, બેંગ્લોરના માલિક, ડિયાજિયોએ હાલમાં પુષ્ટિ કરી હતી કે, તેઓ માર્ચ 2026 પહેલા ફ્રેન્ચાઇઝ વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવાનો ઇરાદો ધરાવે છે. બેંગ્લોર અને રાજસ્થાનના કિસ્સામાં, ફ્રેન્ચાઇઝની માલિકી સંપૂર્ણપણે બદલાઈ જવાની તૈયારીમાં છે. જોકે, કોલકાતાની માહિતી આ બે ફ્રેન્ચાઇઝીઓથી અલગ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, હાલમાં, ફક્ત મહેતા ગ્રુપ જ નાનો હિસ્સો વેચવા ઈચ્છે છે, પરંતુ આ ફ્રેન્ચાઇઝીના માલિકી કંટ્રોલને અસર કરશે નહીં.
શાહરૂખ ખાન અને મહેતા ગ્રુપનો હિસ્સો કેટલો છે?
ત્રણ વખતની IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ, બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, અભિનેત્રી જુહી ચાવલા અને તેમના પતિ જય મહેતા પાસે છે. આ ફ્રેન્ચાઈઝી નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની હેઠળ ચલાવવામાં આવે છે. શાહરૂખ ખાનની કંપની, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ, ફ્રેન્ચાઈઝીમાં 55% હિસ્સો ધરાવે છે. જુહી ચાવલા અને જય મહેતાના મહેતા ગ્રુપ પાસે 45% હિસ્સો છે.





















