સુરેન્દ્રનગરમાં યોજાયેલા લેઉવા પટેલ સમાજના સમૂહલગ્ન પ્રસંગે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પટેલ સમાજમાં દીકરીઓની અછતને ધ્યાનમાં રાખીને સમાજ દ્વારા પ્રથમ વખત આંતરજ્ઞાતિય યુવતીઓને પટેલ સમાજમાં લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણય સમાજમાં બદલાતી વિચારધારા અને સમય સાથે આગળ વધવાની ભાવનાનું પ્રતિબિંબ છે.
આ નિર્ણયને સમાજ માટે દિશાદર્શક ગણાવ્યો
આ સમૂહલગ્ન કાર્યક્રમ દરમિયાન કુલ 43 યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. ખાસ વાત એ રહી કે આ પ્રસંગે આંતરજ્ઞાતિય પાંચ દીકરીઓને પટેલ સમાજ દ્વારા સ્વીકારી તેમનું સમાજમાં હર્ષભેર આવકાર કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્ન સમારોહમાં ગુજરાતભરના લેઉવા પટેલ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ નિર્ણયને સમાજ માટે દિશાદર્શક ગણાવ્યો હતો.
પટેલ સમાજના આગેવાનોએ શું કહ્યું?
આગેવાનોના જણાવ્યા મુજબ, સમાજમાં દીકરીઓની ઘટતી સંખ્યાને કારણે ભવિષ્યમાં લગ્ન સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, તેથી સમયસર આવો સકારાત્મક અને વ્યાપક વિચાર ધરાવતો નિર્ણય લેવો જરૂરી બન્યો હતો. સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા આ સમૂહલગ્ન કાર્યક્રમમાં લેવાયેલો આ નિર્ણય પટેલ સમાજના ઈતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે અને અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.




















