ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘ટીમ ગુજરાત’ સાથે વલસાડના ધરમપુર ખાતે યોજાનારી ચિંતન શિબિરમાં હાજરી આપવા આજે વંદે ભારત ટ્રેન મારફતે અમદાવાદથી વલસાડ પહોંચ્યા હતા. ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ થીમ સાથે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે 27 નવેમ્બરથી શરૂ થતી આ ચિંતન શિબિરમાં રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ અને કુલ 241 ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાશે.
વંદે ભારત ટ્રેનમાં બેસીને CM, મંત્રીઓ પહોંચ્યા વલસાડ
વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ મુખ્યમંત્રી અને ટીમ ગુજરાત બાય રોડ ધરમપુર માટે રવાના થયા છે. ખાસ વાત એ છે કે શિબિરમાં ભાગ લેવા જતા તમામ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ પોતાના સરકારી વાહનોના બદલે ભારતીય રેલ્વેની વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનવાનો નિર્ણય કર્યો હતો, જે સામૂહિકતાનું અને સરળ પ્રવાસનું પ્રતિબિંબ દર્શાવે છે.
’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’
આજે બપોરે લગભગ અઢી વાગ્યે ચિંતન શિબિરનું ઉદઘાટન કરવામાં આવશે. આ શિબિર દરમિયાન રાજ્ય વિકાસ, શાસન વ્યવસ્થા, નવી પહેલો અને વિવિધ વિભાગોની કામગીરી અંગે ઊંડો વિચાર-મંથન કરાશે, જેથી સામૂહિક વિચારધારા દ્વારા વધુ અસરકારક અને વ્યાપક વિકાસની દિશામાં આગળ વધવાની યોજનાઓ તૈયાર થઈ શકે.





















