ભારતનું સૌથી પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' છે. આ પુરસ્કાર એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં અસાધારણ ફાળો આપ્યો હોય. વર્ષ 1954માં શરૂ કરવામાં આવેલો આ એવોર્ડ માત્ર રાજનીતિ કે શાસન પૂરતો સીમિત નથી. તે કલા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા, રમતગમત અને માનવ પ્રયાસના કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વ્યક્તિને રાષ્ટ્ર તરફથી આપવામાં આવતી સર્વોચ્ચ કૃતજ્ઞતાનું પ્રતીક છે. ભારતમાં કોઈપણ નાગરિક માટે આ સન્માન મેળવવું એ ગૌરવની પરાકાષ્ઠા સમાન ગણાય છે.
શું છે ભારત રત્ન સન્માન?
ભારત રત્ન એવા મહાનુભાવોને એનાયત કરવામાં આવે છે જેમની કામગીરીની દેશ પર વ્યાપક અને ઊંડી અસર પડી હોય. આ પુરસ્કાર દર વર્ષે આપવો ફરજિયાત નથી. જ્યારે સરકારને લાગે કે કોઈ વ્યક્તિનું યોગદાન ખરેખર અસાધારણ રાષ્ટ્રીય સ્તરનું છે, ત્યારે જ આ સન્માનની જાહેરાત કરવામાં આવે છે.
પસંદગીની પ્રક્રિયા: કોણ નક્કી કરે છે નામ?
અન્ય નાગરિક પુરસ્કારોની સરખામણીએ ભારત રત્નની પસંદગી પ્રક્રિયા તદ્દન અલગ અને વિશિષ્ટ છે. આ સન્માન માટે કોઈ ઔપચારિક નામાંકન કે અરજી કરવાની પ્રક્રિયા હોતી નથી. ભારત રત્ન માટેના નામોની ભલામણ સીધી ભારતના વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. વડાપ્રધાન આ નામોની યાદી ભારતના રાષ્ટ્રપતિને મોકલે છે અને ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન વિધિવત રીતે એનાયત થાય છે.
એક વર્ષમાં કેટલા લોકોને મળી શકે આ સન્માન?
આ પુરસ્કારની ગરિમા જળવાઈ રહે તે માટે ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી છે. એક કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ 3 વ્યક્તિઓને જ ભારત રત્નથી સન્માનિત કરી શકાય છે. શરૂઆતના વર્ષોમાં આ એવોર્ડ માત્ર કલા, સાહિત્ય, વિજ્ઞાન અને જાહેર સેવા જેવા ક્ષેત્રો પૂરતો સીમિત હતો, પરંતુ વર્ષ 2011થી તેના વ્યાપમાં વધારો કરવામાં આવ્યો છે. હવે માનવ પ્રયાસના કોઈપણ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનારને આ સન્માન મળી શકે છે. નોંધનીય છે કે આ એવોર્ડ મેળવવા માટે ભારતીય નાગરિક હોવું અનિવાર્ય નથી; ભૂતકાળમાં વિદેશી નાગરિકોને પણ આ સન્માનથી નવાજવામાં આવ્યા છે.
ભારત રત્ન વિજેતાને મળતા વિશેષાધિકારો
ભારત રત્ન વિજેતાને કોઈ પણ પ્રકારની રોકડ રકમ આપવામાં આવતી નથી, પરંતુ તેમને રાષ્ટ્રીય સ્તરના અનેક ઉચ્ચ પ્રોટોકોલ અને સુવિધાઓ મળે છે:
પ્રોટોકોલ: તેમને 'ઇન્ડિયન ઓર્ડર ઓફ પ્રેસિડેન્સ'માં 7A સ્થાન પર રાખવામાં આવે છે, જેનો અર્થ છે કે તેમને કેબિનેટ મંત્રી અને રાજ્યપાલની સમકક્ષ દરજ્જો મળે છે.
પ્રવાસની સુવિધા: તેમને આજીવન એર ઈન્ડિયામાં ફ્રી એક્ઝિક્યુટિવ ક્લાસ અને રેલવેમાં ફર્સ્ટ ક્લાસ મફત મુસાફરીની સુવિધા મળે છે.
અન્ય લાભ: તેમને ડિપ્લોમેટિક પાસપોર્ટ અને એરપોર્ટ પર VIP લાઉન્જ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.





















