પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પહેલાં જ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને લઈને ગંભીર વિવાદ ઉભો થયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા સ્ટ્રોંગ રૂમમાં ગેરરીતિ અને સંભવિત ચેડાંના આરોપો લગાવવામાં આવ્યા છે જેના કારણે રાજકીય તણાવ વધુ વધ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે કોલકાતાના સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચીને સ્થિતિની તપાસ કરવા પહોંચ્યા હતા. પાર્ટીના નેતાઓએ બહાર ધરણાં પણ કર્યા હતા.
આ ઘટના મતગણતરી પહેલાં માત્ર 2 દિવસ બાકી હોય ત્યારે બની હોવાથી તેની રાજકીય અસર વધારે ગંભીર બની છે. TMCનો આરોપ છે કે કેટલાક સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા હતા અને તે સમયે પક્ષના અધિકૃત એજન્ટ હાજર નહોતા, જે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને સવાલ ઉભા કરે છે.
આ પણ વાંચો: 'CM ભગવંત માન દારૂના નશામાં આવ્યા છે' : પંજાબ વિધાનસભામાં અકાલી દળના નેતાના ગંભીર આક્ષેપથી ખળભળાટ
જાણો સ્ટ્રોંગ રૂમ સુરક્ષા વ્યવસ્થા અંગે
ભારતમાં EVM અને VVPAT મશીનો મતદાન પૂર્ણ થયાં પછી ખાસ સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. ચૂંટણી પંચના નિયમો મુજબ આ સ્ટ્રોંગ રૂમ પર ત્રણ સ્તરની સુરક્ષા હોય છે, જેમાં કેન્દ્રિય સુરક્ષા દળો, સ્થાનિક પોલીસ અને સતત CCTV મોનિટરિંગનો સમાવેશ થાય છે.
સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશ કડક નિયંત્રણ હેઠળ હોય છે. ઉમેદવાર અથવા તેમના એજન્ટોને સીલ કરેલા રૂમની બહાર સુધી જ રહેવાની મંજૂરી હોય છે, જ્યારે અંદર પ્રવેશ સામાન્ય રીતે પ્રતિબંધિત હોય છે. દરેક પ્રવેશ અને પ્રવૃત્તિનો લોગ રાખવામાં આવે છે અને CCTV ફૂટેજ પણ ઉપલબ્ધ રહે છે. આ વ્યવસ્થા ચૂંટણીની નિષ્પક્ષતા જાળવવા માટે બનાવવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ અથવા ચેડાંની શક્યતા ન રહે.
TMCના આરોપો અને રાજકીય પ્રતિક્રિયા
TMCના નેતાઓએ આરોપ લગાવ્યો કે સ્ટ્રોંગ રૂમમાં "શંકાસ્પદ પ્રવૃત્તિ" જોવા મળી હતી અને કેટલાક લોકો અંદર પ્રવેશ્યા હતા. પાર્ટીના પ્રવક્તાઓએ દાવો કર્યો કે CCTVમાં કેટલાક અજાણ્યા લોકો જોવા મળ્યા, જેનાથી ચેડાંની શંકા ઊભી થઈ.
મમતા બેનર્જીએ આ મુદ્દે કડક વલણ અપનાવતા કહ્યું કે મતદારોના મતની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે અને કોઈપણ પ્રકારની ગડબડ સહન કરવામાં નહીં આવે. તેમણે કાર્યકરોને સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવા પણ જણાવ્યું. બીજી તરફ ભાજપે આ તમામ આરોપોને રાજકીય નાટક ગણાવ્યા છે. પાર્ટીના નેતાઓએ દાવો કર્યો કે TMC હારની ભીતિથી આવા આરોપો લગાવી રહી છે.
ચૂંટણી પંચની સ્પષ્ટતા
ચૂંટણી પંચે TMCના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે EVM સંપૂર્ણપણે સુરક્ષિત છે. પંચના જણાવ્યા મુજબ, તમામ પ્રક્રિયાઓ નિયમ મુજબ કરવામાં આવી છે અને કોઈ ગેરરીતિ થઈ નથી. ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સ્ટ્રોંગ રૂમ ખોલવાની પ્રક્રિયા પણ નિયમો અનુસાર અને માહિતી આપીને જ કરવામાં આવે છે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે તમામ રાજકીય પક્ષોને પારદર્શિતા માટે જરૂરી માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં લગભગ 1500 સુરક્ષા કર્મચારીઓ સ્ટ્રોંગ રૂમની રક્ષા માટે તહેનાત છે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે.
જો કે રાજકીય પક્ષો દ્વારા વારંવાર ચેડાંના આરોપો લગાવવામાં આવતા રહ્યા છે, ખાસ કરીને નજીકના અને તંગ ચૂંટણી પરિણામોની સ્થિતિમાં.હવે તમામ નજરો મતગણતરીના દિવસે છે. જો કોઈ ગેરરીતિના પુરાવા મળે તો ચૂંટણી પંચ ફરી મતદાન (re-poll) પણ કરાવી શકે છે. આ વિવાદ માત્ર બંગાળ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશ માટે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા અંગે ચર્ચા ઉભી કરે છે.






