IPL 2025: IPL સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મોટો નિર્ણય લીધો છે. બોર્ડે લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવવાનો અને મેચની બીજી ઇનિંગમાં બીજા બોલનો ઉપયોગ કરવાનો નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝનમાં લાગુ કરવામાં આવશે.
કેપ્ટન અને ટીમ મેનેજર સાથે બેઠક યોજાઈ
ક્રિકબઝના અહેવાલ મુજબ, ગુરુવારે (20 માર્ચ) મુંબઈના ક્રિકેટ સેન્ટરમાં કેપ્ટન અને ટીમ મેનેજરોની બેઠક દરમિયાન આ નવા નિયમોની જાહેરાત કરવામાં આવી હતી. નવા નિયમ મુજબ આઈપીએલની મેચોમાં બીજી ઈનિંગની 11મી ઓવર પછી બીજા બોલનો ઉપયોગ કરવામાં આવશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ ઝાકળની અસરને ઘટાડવાનો છે, જે સામાન્ય રીતે રાત્રે રમાતી મેચોને અસર કરે છે. બીજા બોલનો ઉપયોગ ટોસ જીતનારી ટીમને સંભવિત લાભમાં ઘટાડો કરશે, જે રમતને વધુ સંતુલિત અને ન્યાયી બનાવશે.
લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ પણ દૂર કરવામાં આવ્યો
આ સિવાય બીસીસીઆઈએ લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ પણ હટાવી દીધો છે. આ નિર્ણય લાંબા સમયથી અપેક્ષિત હતો, ખાસ કરીને ઝડપી બોલર મોહમ્મદ શમીએ આ નિયમને દૂર કરવાની અપીલ કર્યા પછી. શમીએ તાજેતરમાં દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ બાદ અધિકારીઓને વિનંતી કરી હતી કે બોલને સ્વિંગ કરવા અને રિવર્સ સ્વિંગ કરવા માટે લાળનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. તેની માંગને વર્નોન ફિલેન્ડર અને ટિમ સાઉથી જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ પણ ટેકો આપ્યો હતો.
લાળના ઉપયોગ પર પ્રતિબંધ COVID-19 મહામારી દરમિયાન લાદવામાં આવ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ વાયરસના ફેલાવાને રોકવા માટે નિર્ણય લીધો હતો. જો કે, હવે જ્યારે રોગચાળાનો ખતરો ઓછો થઈ ગયો છે, ત્યારે આ પ્રતિબંધ હટાવવાની માંગ સતત વધી રહી હતી. વિશ્વ ક્રિકેટમાં આ નિયમમાં સુધારાની હિમાયત કરનાર શમી આ પરિવર્તનની માંગણી કરનાર સૌથી અગ્રણી અવાજોમાંનો એક છે.





















