વડોદરા સહિત રાજ્યભરમાં મોંઘવારીનો બોજ સતત વધતો જ રહ્યો છે અને હવે દૂધ જેવા આવશ્યક પદાર્થમાં થયેલા ભાવ વધારાએ સામાન્ય જનતાને વધુ મુશ્કેલીમાં મૂકી છે. અમૂલ દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે બરોડા ડેરીએ પણ વિવિધ પ્રકારના દૂધના પાઉચમાં ભાવ વધારાની જાહેરાત કરી છે, જે આજથી અમલમાં આવી ગઈ છે.
નવી દરરચનાના અનુસાર ગોલ્ડ, શક્તિ, તાજા અને ગાયના દૂધના પ્રતિ લીટર ભાવમાં વધારો નોંધાયો છે. ગઈકાલ સાંજથી જ આ વધારા અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી અને આજે સવારથી જ ગ્રાહકોને વધારેલા ભાવ સાથે દૂધ ખરીદવું પડી રહ્યું છે. દૂધ જે દરેક ઘરની દૈનિક જરૂરિયાત છે, તેના ભાવમાં વધારો થવાથી ઘરખર્ચ પર સીધી અસર પડી રહી છે.
અમૂલને પગલે બરોડા ડેરીએ પણ દૂધમાં લીટરે રૂ.2નો વધારો ઝીંક્યો,દૂધ ઉત્પાદકોને પણ કિલોફેટે રૂ.15 વધાર્યા.
દૂધનો પ્રકાર જુનોભાવ નવો ભાવ
અમૂલ ગોલ્ડ (500 ml) 34 35
અમૂલ શક્તિ (500 ml) 31 32
અમૂલ ગાય (500 ml) 29 30
અમૂલ ગાય (200 ml) 11 12
અમૂલ તાજા (500 ml) 28 29
અમૂલ સ્લીમ-ટ્રીમ (500 ml) 25 26
મધ્યમવર્ગ પર મોંઘવારીનો બોજ વધુ
દૂધના ભાવમાં થયેલા વધારાને કારણે ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારો અને ગૃહિણીઓમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. પહેલેથી જ શાકભાજી, ખાદ્યતેલ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના વધેલા ભાવ વચ્ચે હવે દૂધ પણ મોંઘું બનતા માસિક બજેટ સંભાળવું વધુ મુશ્કેલ બની રહ્યું છે.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે દૂધ વગર દૈનિક જીવન કલ્પવું મુશ્કેલ છે, કારણ કે ચા, કૉફી, બાળકોના પોષણ અને અનેક વાનગીઓ માટે દૂધ આવશ્યક છે. દૂધના ભાવમાં વધારો એટલે માત્ર એક પદાર્થ મોંઘો થવો નહીં પરંતુ તેની સાથે જોડાયેલા અનેક ઉત્પાદનો પણ મોંઘા થવાના સંકેતો છે.
આ પણ વાંચો: સામાન્ય લોકોને મોંઘવારીનો 440 વોટનો ઝટકો! : અમૂલ દૂધના ભાવમાં વધારો, જાણો શું છે નવી કિંમત
મીઠાઈ અને દૂધજન્ય ઉત્પાદનો પર પણ અસરની શક્યતા
દૂધના ભાવમાં વધારો થતા મીઠાઈ, દહીં, છાશ અને અન્ય દૂધજન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓના મતે, ઉત્પાદન ખર્ચ વધતા તેઓને પણ ભાવમાં ફેરફાર કરવો પડી શકે છે, જે અંતે ગ્રાહકોને જ ભોગવવો પડશે.
ઘણા ગ્રાહકોમાં આ વધારાને લઈને અસંતોષ જોવા મળ્યો છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય લોકોનું કહેવું છે કે સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે. કેટલાક લોકોએ તો આ પરિસ્થિતિને “જીવવું મુશ્કેલ બનતું જાય છે” એવી પ્રતિક્રિયા આપી છે.
વિભિન્ન પ્રતિક્રિયાઓ
જ્યાં મોટાભાગના લોકોએ ભાવ વધારાને લઈને ચિંતા વ્યક્ત કરી છે, ત્યાં કેટલાક લોકોનો મત છે કે આ વધારો સામાન્ય અને અનિવાર્ય છે. તેઓના કહેવા મુજબ, ઉત્પાદન ખર્ચ, પરિવહન અને અન્ય ખર્ચ વધતા ભાવ વધારો થવો સ્વાભાવિક છે.
સામાન્ય જનતાના મોટા વર્ગ માટે આ વધારો સીધો અસર સાબિત થઈ રહી છે. લોકોનું કહેવું છે કે અમીર વર્ગ પર આનો ઓછો પ્રભાવ પડશે પરંતુ ગરીબ અને મધ્યમવર્ગ માટે આ વધારો ગંભીર પડકાર બની રહ્યો છે.





