Ahmedabad News: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ત્રણ યુવકો વિસ્તારમાં દાદાગીરી કરતા હોવા અંગેનો વિરોધ યુવક દ્વારા કરવામાં આવતા તેના ઉપર દાઝ રાખી અને ગાળો બોલી હથિયારો વડે માર માર્યો હતો. ટી- સ્ટોલ પર હથિયારો વડે તૂટી પડ્યા હતા.
લાકડીઓ અને ખુરશીઓ વડે મારતા જીવ બચાવવા માટે યુવક ભાગ્યો હતો. ત્યારે તેનો પીછો કરી અને ફરીથી પકડી અને હથિયારો તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે બાપુનગર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો.
શહેરના બાપુનગર વિસ્તારમાં નવા પીઆઇ આવતાની સાથે જ અસામાજિક તત્વો ફરીથી સક્રિય થઈ ગયા છે. બાપુનગર વિસ્તારમાં એકવાર કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા યુવકને દોડાવી દોડાવીને માર માર્યો છે. એટલું નહિ હવે ફરી સ્થાનિક પીઆઇ અને પોલીસ ની નબળી કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.
બાપુનગરમાં રહેતા અને સ્ટીમ પ્રેસનું કામ કરતા સાહિલ શેખે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અયાન ઉર્ફે માયા, ફૈઝાન ઉર્ફે ભીમ પઠાણ અને આવેશ મિર્ઝા વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. મોડીરાતે સાહિલ શેખ ટી સ્ટોલ પર ગયો હતો ત્યારે ત્યારે અયાન, ફૈઝાન અને આવેશ આવ્યા હતા. બાપુનગર વિસ્તારમાં તેઓ દાદાગીરી કરતા હોવાને લઈને સાહિલે વિરોધ કર્યો હતો જેને લઈ તેની ઉપર દાજ રાખતા હતા.
ત્રણેયની દાદાગીની સામે સાહિલ વાંધો ઉઠાવતો હોવાથી તેની સાથે બબાલ કરવા આવ્યા હતા. સાહિલ કઈ વિચારે તે પહેલા ત્રણેય માથાભારે તત્વોએ ગાળો આપવાની શરૂ કરી દીધી હતી અને હથિયારો લઈને માર માર્યો હતો. જીવ બચાવવા માટે પોતે ત્યાંથી અજીત મિલ કમ્પાઉન્ડ તરફ ભાગ્યો હતો ત્યારે ત્યાં પણ તેનો પીછો કર્યો હતો અને પાછળથી સાહિલના માથામાં કુહાડી મારતા તે જમીન પર ઢળી પડ્યો હતો.
ત્રણેય હુમલાખોરોએ સાહિલને દંડા અને પાઈપથી મારતા હતા. આસપાસના લોકો આવી જતા ત્રણેયે ધમકી આપી કે હવે જો અમારો વિરોધ કર્યો તો તને જાનથી મારી નાખીશુ. ઈજાગ્રસ્ત સાહિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.





