બાંગ્લાદેશમાં 81 ફૂટ ઊંચી ભગવાન શ્રીરામની પ્રતિમા બનાવવાની યોજનાને કારણે ચર્ચામાં આવેલા હરિદાસ ચંદ્ર તરણી દાસની બાંગ્લાદેશ CIDએ મની લોન્ડરિંગના ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરી છે. તપાસ એજન્સીનો દાવો છે કે તેમના ખાતાઓમાં કરોડો ટકાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હતા, જ્યારે હરિદાસનું કહેવું છે કે તપાસ હેઠળની રકમ મંદિરના ભક્તોએ આપેલા દાનની છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે શ્રીરામની પ્રતિમા નિર્માણને લઈને દેશમાં પહેલેથી જ વિવાદ અને તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
મની લોન્ડરિંગ કેસમાં CIDની કાર્યવાહી
બાંગ્લાદેશ પોલીસ અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)એ ગાઇબાંધા જિલ્લાના પલાશબાડી વિસ્તારમાંથી હરિદાસ ચંદ્ર તરણી દાસની રવિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા અને પછી ઢાકા ખસેડવામાં આવ્યા હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે.
તપાસ એજન્સી મુજબ હરિદાસ સામે અંદાજે 9.35 કરોડ બાંગ્લાદેશી ટકાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધાયો છે. ભારતીય ચલણ મુજબ આ રકમ અંદાજે 7.26 કરોડ રૂપિયા જેટલી થાય છે. CIDનો આરોપ છે કે આટલી મોટી રકમના વ્યવહારો માટે તેમની પાસે કાયદેસર આવકનો કોઈ સ્પષ્ટ સ્ત્રોત મળ્યો નથી, જેના કારણે તપાસ શરૂ કરવામાં આવી હતી.
બેંક ખાતા અને વિદેશી ચલણના વ્યવહારો તપાસના કેન્દ્રમાં
તપાસ દરમિયાન અધિકારીઓએ હરિદાસના બેંક ખાતાઓ અને મોબાઇલ ફાઇનાન્શિયલ સર્વિસ (MFS) એકાઉન્ટ્સમાં અનેક શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હોવાનું જણાવ્યું છે. CIDનો દાવો છે કે પ્રાથમિક તપાસમાં સ્થાનિક તેમજ વિદેશી ચલણ સાથે સંબંધિત ગેરરીતિઓના સંકેતો પણ મળ્યા છે. સાથે જ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંભવિત સંબંધોની પણ તપાસ ચાલી રહી છે.
બાંગ્લાદેશી મીડિયા અહેવાલો અનુસાર તપાસ એજન્સીનો વધુ એક દાવો છે કે હરિદાસ અગાઉ અભ્યાસ અને તાલીમ માટે ગેરકાયદેસર રીતે ભારત ગયા હતા. ત્યારબાદ વર્ષ 2010માં તેઓ બાંગ્લાદેશ પરત ફર્યા અને વર્ષ 2019માં ઇસ્લામ ધર્મ સ્વીકારી પોતાનું નામ તૌહીદ ઇસ્લામ રાખ્યું હોવાનું CIDએ જણાવ્યું છે. જોકે આ દાવાઓ અંગે સ્વતંત્ર રીતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ હજુ ચાલુ છે.
કોર્ટમાં હરિદાસે પોતાનો બચાવ કર્યો
ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયેલા હરિદાસે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું કે જો મંદિરનું સંચાલન કરવું જ ગુનો ગણાતો હોય તો તેઓ પાસે કહેવા માટે કંઈ નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે તપાસ હેઠળ રહેલી સમગ્ર રકમ મંદિરના ભક્તો દ્વારા દાન સ્વરૂપે આપવામાં આવી હતી. તેમણે તપાસ એજન્સીને વિનંતી કરી કે આ નાણાંનો કોઈ ગેરકાયદેસર ઉપયોગ થયો છે કે નહીં તેની નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરવામાં આવે. હરિદાસનું કહેવું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે.
હિંદુ સંગઠને ધરપકડનો વિરોધ કર્યો
બાંગ્લાદેશ હિંદુ-બૌદ્ધ-ખ્રિસ્તી યુનિટી કાઉન્સિલે હરિદાસની ધરપકડની પુષ્ટિ કરી છે. સાથે જ સંગઠને CIDની કાર્યવાહીની કડક ટીકા કરતાં કહ્યું કે કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને કોઈપણ વ્યક્તિ સાથે ધર્મ અથવા સામાજિક ઓળખના આધારે ભેદભાવ ન રાખવો જોઈએ.
આ નિવેદન બાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે અને વિવિધ સામાજિક સંગઠનો પણ કેસ પર નજર રાખી રહ્યા છે.
81 ફૂટ ઊંચી શ્રીરામ પ્રતિમાને લઈને પહેલેથી જ ચાલી રહ્યો હતો વિવાદ
હરિદાસ ચંદ્ર તરણી દાસનું નામ ત્યારે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેમણે ગાઇબાંધા જિલ્લાના પલાશબાડી સ્થિત શ્રી શ્રી રાધા ગોવિંદ કાલી મંદિર પરિસરમાં 81 ફૂટ ઊંચી ભગવાન શ્રીરામની પ્રતિમા સ્થાપિત કરવાની યોજના જાહેર કરી હતી. આ પ્રસ્તાવ બાદ બાંગ્લાદેશમાં વિવિધ વર્ગોમાં ચર્ચા, વિરોધ અને વિવાદ શરૂ થયો હતો.
તાજેતરના અઠવાડિયામાં આ પ્રતિમા નિર્માણને લઈને રાજકીય તેમજ સામાજિક સ્તરે મતભેદો જોવા મળ્યા હતા. હવે એ જ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હરિદાસની ધરપકડ થતાં સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બની ગયો છે.





![[Fact Check] સોશિયલ મીડિયા પર ઈરાનનો વીડિયો વાયરલ](https://assests.offbeatstories.in/image/2026/07/13/Fact-Check-1_222de183-dd58-42ef-a170-88418df30d19.webp)