બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લગતો એક ગંભીર મામલો સામે આવ્યો છે. થરા તાલુકાના ઉણ ગામમાં ગઈ કાલે થયેલી બબાલને લઈને પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં પોલીસે 15 થી વધુ ચૌધરી સમાજના વ્યક્તિઓને નામજોગ બનાવીને તેમજ આશરે 800 થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, ગઈ કાલે ઉણ ગામમાં ચૌધરી સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જી હતી. ટોળાએ ગામને બાનમાં લીધું હોવાનો પણ આરોપ છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટના બાદ પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં ચૌધરી સમાજના કેટલાક આગેવાનોના નામ પણ સામેલ હોવાની ચર્ચા છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસ ફરિયાદ નોંધાતા જ ટોળામાં સામેલ કેટલાક આગેવાનો ભુગર્ભમાં જતાં રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
પોલીસ દ્વારા હાલમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને હુમલામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા માટે તજવીજ તેજ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે કાયદો હાથમાં લેનાર કોઈને પણ છોડવામાં નહીં આવે અને તમામ આરોપીઓને કાયદેસરની સજા અપાવવામાં આવશે.
આ ઘટનાને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવા માંગ ઉઠી રહી છે.




















