Home Gujarat Banaskantha Kuwana Highway Cctv Viral Police Investigation

બનાસકાંઠા-થરાદમાં ધોળા દિવસે સનસનાટીભર્યો હત્યાકાંડ : હાઈવે પર યુવકની હત્યા, ફાયરિંગ અને ધારિયાના હુમલાના CCTV વાયરલ

થરાદમાં હત્યાના CCTV
Published by: Chintan Chavda
Last Updated: Jun 12, 2026, 12:26 PM IST

બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં આવેલા લાખણી તાલુકાના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હાઈવે પર આવેલી ‘ભવાની પાર્લર એન્ડ ટી સ્ટોલ’ પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કરીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. ઘટનાનો સમગ્ર બનાવ CCTV કેમેરામાં કેદ થઈ જતા પોલીસ તપાસને મહત્વપૂર્ણ દિશા મળી છે.

પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરો ધારિયા, છરી અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવક પર અચાનક હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અલ નીનોના ખતરાને લઈને PM મોદીની ચેતવણી: રાજ્યોને તૈયાર રહેવા આપી સૂચના

ફાયરિંગ બાદ ધારિયાથી જીવલેણ હુમલો

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ભવાની પાર્લર એન્ડ ટી સ્ટોલ ખાતે કેટલાક લોકો બેઠા હતા ત્યારે અચાનક ત્રણ હુમલાખોરો ત્યાં પહોંચ્યા હતા. પૂર્વ સરપંચ હોથીભાઈ રાજપૂતે જણાવ્યું કે હુમલાખોરોએ પહેલા ફાયરિંગ કર્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

ત્યારબાદ હુમલાખોરોએ યુવક પર ધારિયા વડે હુમલો કરીને તેને નીચે પાડી દીધો હતો. ઘટનાસ્થળે હાજર લોકો પોતાનો જીવ બચાવવા ભાગી ગયા હતા, જ્યારે હુમલાખોરો હત્યાકાંડને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા.

CCTV ફૂટેજ વાયરલ થતાં અરેરાટી

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હત્યાના દ્રશ્યો દર્શાવતા ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ ફેલાયો છે.

ધોળા દિવસે જાહેર સ્થળે આ પ્રકારનો હુમલો થતાં સ્થાનિકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે.


ગાંધીનગરની હોટલમાં ખેલાયો ખતરનાક ખૂની ખેલ: પોલીસ અને પરિવારની હાજરીમાં જ ખોળામાં સુવડાવી પ્રેમીએ કાપ્યું પ્રેમિકાનું ગળું

મૃતકની ઓળખ શામળભાઈ ભીલ તરીકે

વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક Chintan Teraiyaએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ શામળભાઈ ફોટાભાઈ ભીલ તરીકે થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતક અને હુમલાખોરો બંને સ્થાનિક વિસ્તારના નથી એવું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

સમગ્ર જિલ્લામાં નાકાબંધી

ઘટનાની જાણ થતાં જ વાવ-થરાદ જિલ્લા પોલીસ, દિયોદર DySP અને સ્થાનિક પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

એસપી ચિંતન તેરૈયાએ જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે તમામ ટીમોને સક્રિય કરવામાં આવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ફાયરિંગના કેટલા રાઉન્ડ કરવામાં આવ્યા હતા તે તપાસનો વિષય છે અને સમગ્ર ઘટનાના દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે.


અમદાવાદથી દિલ્હી જતી Indigo ફ્લાઇટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ : લખનઉમાં કરાવ્યું ઇમરજન્સી લેન્ડિંગ

જૂની અદાવત કે અન્ય કોઈ કારણ?

હાલ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. હત્યા પાછળ જૂની અદાવત, અંગત દુશ્મનાવટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.

દિયોદર પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને ટેકનિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોને ઝડપવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

આ ઘટનાએ બનાસકાંઠા જિલ્લામાં કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચા જગાવી છે. હવે પોલીસ તપાસમાં આરોપીઓની ઓળખ અને હત્યાના કારણો અંગે શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now