logo-img
Babu Prajapati Acquitted After 27 Years In Court

બાબુ પ્રજાપતિ પરથી 27 વર્ષે 'કલંક' દૂર થયું પણ જિંદગીની જંગ હાર્યા! : કોર્ટે 20 રૂપિયાના લાંચ કેસમાં નિર્દોષ જાહેર કર્યા, પણ શ્વાસ ખૂટ્યા

બાબુ પ્રજાપતિ પરથી 27 વર્ષે 'કલંક' દૂર થયું પણ જિંદગીની જંગ હાર્યા!
Published by: Offbeat Team
| Last Updated: Feb 06, 2026, 02:11 PM IST

અમદાવાદમાં માત્ર 20 રૂપિયાની લાંચના આરોપમાં છેલ્લા 27 વર્ષથી કાયદાકીય લડત લડનાર નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિને અંતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે આ ન્યાયનો વિજય તેમના જીવનનો છેલ્લો વિજય સાબિત થયો, કારણ કે ચુકાદા બાદ થોડા સમય પછી તેમનું અવસાન થયું હતું. આ ઘટના સમગ્ર રાજ્યમાં સંવેદના અને ચર્ચાનો વિષય બની છે.

20 રૂપિયાની લાંચ કેસની કાયદાકીય લડાઈ 27 વર્ષ ચાલી અને અંતે જીત પણ...

ઘટનાની વિગત મુજબ, વર્ષ 1997માં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વિશાલા જંક્શન પાસે ફરજ બજાવતા ત્યારે તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિ પર માત્ર 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા છટકું ગોઠવી તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં વર્ષ 2004માં જિલ્લા અદાલતે તેમને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સજા ફટકારી હતી, જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું.

(બાબુ પ્રજાપતિ વકીલની ઓફિસમાં)

27 વર્ષે ન્યાય મળ્યો પણ જિંદગીની જંગ હારી ગયા!

જિલ્લા અદાલતના આ ચુકાદા સામે બાબુ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને વર્ષો સુધી ન્યાય માટે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. આખા 27 વર્ષ સુધી તેમણે આ કેસનો સામનો કર્યો, જેમાં તેમને માનસિક, સામાજિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ. વી. પિન્ટોની કોર્ટે મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે લાંચની માંગણી અને સ્વીકાર બાબતે સરકારી પક્ષ પૂરતા અને વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. પુરાવાઓના અભાવે હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો રદ કરી બાબુ પ્રજાપતિને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.

(વકીલ)

“મારા જીવન પરથી કલંક દૂર થયો છે, હવે ભગવાન લઈ લે તો પણ સારું”

ચુકાદો આવ્યા બાદ બાબુ પ્રજાપતિ અત્યંત ભાવુક અને ખુશ નજરે પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “મારા જીવન પરથી કલંક દૂર થયો છે, હવે ભગવાન લઈ લે તો પણ સારું.” તેમના આ શબ્દોએ હાજર સૌને ભાવુક કરી દીધા હતા. દુર્ભાગ્યવશ, ન્યાય મળ્યા બાદ તેમનું અવસાન થતા આ ખુશીના સમાચાર તેમના જીવનનો અંતિમ વિજય બની રહ્યા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now