Baba Farjan Raid: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. 90ના દાયકામાં અપરાધ જગતમાં ચર્ચામાં રહેલા કથિત ડૉન બાબા ફરઝાનના આલીશાન બંગલા પર દરોડા દરમિયાન કરોડો રૂપિયાની રોકડ, સોનું-ચાંદી અને હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ કાર્યવાહીએ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, બંગલામાંથી એટલી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી કે તેની ગણતરી કરવા માટે ક્રાઈમ બ્રાન્ચને સ્થળ પર જ પાંચ કરન્સી કાઉન્ટિંગ મશીનો મંગાવવી પડી હતી. પોલીસ હવે મળેલી રોકડ, દસ્તાવેજો અને અન્ય પુરાવાઓના આધારે નાણાકીય વ્યવહારો તેમજ સંપત્તિના સ્ત્રોતની વિગતવાર તપાસ કરી રહી છે.
વહેલી સવારે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
શનિવારે વહેલી સવારે છત્રપતિ સંભાજીનગરના પડેગાંવ વિસ્તારમાં આવેલી બાબા ફરઝાનની મિલકત પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે બંગલાની સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં રોકડ ઉપરાંત કિંમતી આભૂષણો અને હથિયારો પણ મળી આવ્યા હોવાનું જણાવાયું છે.
રૂ.5.5 કરોડની રોકડ, સોનું-ચાંદી અને હથિયારો જપ્ત
પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ દરોડા દરમિયાન બંગલામાંથી અંદાજે રૂ.5.5 કરોડની રોકડ, રૂ.21 લાખનું સોનું અને રૂ.8 લાખની ચાંદી જપ્ત કરવામાં આવી છે. રોકડની માત્રા એટલી વધુ હતી કે સ્થળ પર જ પાંચ કરન્સી કાઉન્ટિંગ મશીનોની મદદથી નોટોની ગણતરી શરૂ કરવી પડી હતી. હાલ પણ જપ્ત કરાયેલી રકમ અને અન્ય સંપત્તિનું સત્તાવાર મૂલ્યાંકન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: ગાઝિયાબાદમાં DPSG સ્કૂલ બસ બની અગનગોળો : કાળા ધુમાડાથી વિસ્તારમાં અફરાતફરી
હથિયારોનો મોટો જથ્થો પણ મળ્યો
તપાસ દરમિયાન પોલીસને બંગલામાંથી માત્ર રોકડ અને દાગીના જ નહીં પરંતુ હથિયારોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, ત્યાંથી ચાર રાઇફલ, 500 જીવતા કારતૂસ, ઉપરાંત તલવારો અને અન્ય ધારદાર હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ હથિયારો કાયદેસર લાઇસન્સ હેઠળ હતા કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

નાણાકીય વ્યવહારો અને બેનામી સંપત્તિની તપાસ શરૂ
ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓ હવે બાબા ફરઝાન સાથે જોડાયેલા તમામ નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહ્યા છે. બેંક ખાતાં, મિલકતના દસ્તાવેજો, બેનામી સંપત્તિ અને અન્ય મહત્વના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે જપ્ત કરાયેલી રોકડ અને સંપત્તિનો સ્ત્રોત શું છે અને તેનો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંબંધ છે કે નહીં.
આ પણ વાંચો: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક કરાર : 10 MoU અને 8 મોટા નિર્ણયોથી વેપાર-સંરક્ષણને મળશે નવી દિશા
પોલીસ ટૂંક સમયમાં આપશે સત્તાવાર માહિતી
આ સમગ્ર કાર્યવાહી અંગે પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ વિગતો જાહેર કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ હોવાથી અધિકારીઓએ તમામ પાસાઓની તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ માહિતી આપવાનો સંકેત આપ્યો છે. આ કેસમાં તપાસ આગળ વધતાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





