કેન્દ્રિય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન વિમાન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, ''સરકાર દ્વારા ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટ મળ્યા બાદ હવે જરૂરિયાત મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે''
''કાર્યવાહી પણ કરવામાં આવશે''
મંત્રી પ્રતાપરાવ જાધવએ કહ્યું કે, ''જે રિપોર્ટ સામે આવ્યો છે જે બાદ કાર્યવાહી પણ કરવામાં આવશે તેમજ ફરીવાર દેશમાં આવી દુર્ઘટના ન સર્જાય તે અંગે તકેદારી પણ પૂરેપૂરી લેવામાં આવશે''
AAIB રિપોર્ટ આવ્યો સામે
ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) ના અહેવાલમાં ઘણા ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. અહેવાલ મુજબ વિમાનના બંને એન્જિન ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી અચાનક બંધ થઈ ગયા, જેના કારણે વિમાનની ગતિ ધીમી પડી ગઈ અને તે ક્રેશ થયું. આ દરમિયાન બંને પાઇલટ વચ્ચે વાતચીત થાય છે. એક પાઇલટે પૂછ્યું, તમે ફ્યૂલ કેમ બંધ કર્યું? આના પર બીજા પાઇલટે જવાબ આપ્યો, મેં એવું નથી કર્યું. આ વાતચીતની થોડીક સેકન્ડ પછી વિમાનની ગતિ ધીમી થવા લાગે છે અને આ વિમાન મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે અથડાય છે.
15 પાનાનો અહેવાલ બહાર પાડ્યો
આ કિસ્સામાં એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો ઓફ ઇન્ડિયા (AAIB) એ હવે અકસ્માતનું કારણ જાણવા માટે 15 પાનાનો અહેવાલ બહાર પાડ્યો છે. આ પ્રારંભિક અહેવાલ છે. તેમાં માત્ર ટેકનિકલ કારણો જ જાહેર થયા નથી, પરંતુ કોકપીટમાં છેલ્લી વાતચીતે ઘણા નવા પ્રશ્નો ઉભા કર્યા છે. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી અને થોડીક સેકન્ડ પછી એન્જિનમાં ખામી સર્જાતા, વિમાન બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું અને ક્રેશ થયું. તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયાનું આ વિમાન 12 જૂને અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા. જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અને 19 અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.




















