Farooq Abdullah Attack: જમ્મુ-કાશ્મીરના રાજકારણમાંથી અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નેશનલ કોન્ફરન્સના વડા અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર બુધવારે રાત્રે જમ્મુમાં એક લગ્ન સમારોહ દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એક ઉદ્યોગપતિએ અબ્દુલ્લાના માથા પર રિવોલ્વર તાકીને ફાયરિંગ કર્યું હતું, પરંતુ સદનસીબે સુરક્ષા જવાનોની સતર્કતાને કારણે ગોળી હવામાં ચાલી ગઈ હતી અને ફારૂક અબ્દુલ્લાનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પણ તેમની સાથે હાજર હતા, જેમને પણ કોઈ ઈજા થઈ નથી.
આ હુમલાએ જમ્મુ-કાશ્મીરના સુરક્ષા તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્યારે ફારૂક અબ્દુલ્લા જેવા કદાવર નેતા પાસે Z+ અને NSG જેવી અભેદ્ય સુરક્ષા કવચ હોય, ત્યારે કોઈ હુમલાખોર આટલી નજીક કેવી રીતે પહોંચી શકે તે ચિંતાનો વિષય બન્યો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં હુમલાખોરની ક્રૂરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી તપાસનો ધમધમતો દોર શરૂ કર્યો છે.
CCTVમાં કેદ થઈ ઘટના: સુરક્ષા જવાનો દેવદૂત બની આવ્યા
ઘટનાની વિગત મુજબ, ફારૂક અબ્દુલ્લા જમ્મુના 'રોયલ પાર્ક'માં નેશનલ કોન્ફરન્સના કાર્યકર સુરજીત સિંહના પુત્રના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, 70 વર્ષીય હુમલાખોર કમલ સિંહ જામવાલ પાછળથી ચુપકેથી આવ્યો અને ફારૂક અબ્દુલ્લાના માથા પર રિવોલ્વર તાકી દીધી. તે ટ્રિગર દબાવે તે પહેલા જ ત્યાં હાજર સુરક્ષા જવાનોએ તેનો હાથ ઝાટકી દીધો, જેને કારણે ગોળી હવામાં છૂટી ગઈ હતી. સુરક્ષા જવાનોએ તાત્કાલિક હુમલાખોરને દબોચી લીધો હતો અને અબ્દુલ્લાને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
'હું 20 વર્ષથી તકની રાહ જોતો હતો' – હુમલાખોરનો ચોંકાવનારો કબૂલાત
પકડાયેલ હુમલાખોર કમલ સિંહ જામવાલ એક જાણીતો ઉદ્યોગપતિ છે અને તે લગ્ન આયોજક સુરજીત સિંહનો પિતરાઈ ભાઈ હોવાનું બહાર આવ્યું છે. તેની પાસે વર્ષોથી લાયસન્સવાળું હથિયાર પણ હતું. ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં તેણે હિંમતભેર કબૂલાત કરી હતી કે, "હું છેલ્લા 20 વર્ષથી ફારૂક અબ્દુલ્લાને મારવા માંગતો હતો, આજે મને તક મળી હતી." જોકે, હુમલા પાછળનો ચોક્કસ હેતુ શું હતો – રાજકીય દુશ્મનાવટ કે અંગત અદાવત – તે અંગે પોલીસ વધુ ઊંડી તપાસ કરી રહી છે.
CM ઓમર અબ્દુલ્લાના સુરક્ષા વ્યવસ્થા પર આકરા પ્રહાર
ફારૂક અબ્દુલ્લાના પુત્ર અને વર્તમાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ ઘટના અંગે રોષ ઠાલવ્યો હતો. તેમણે લખ્યું કે, "એક વ્યક્તિ લોડેડ પિસ્તોલ સાથે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી પિતાજીની આટલી નજીક કેવી રીતે આવી ગયો? અલ્લાહનો શુક્ર છે કે તેઓ સુરક્ષિત છે, પરંતુ Z+ અને NSG સુરક્ષામાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે?" ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરીએ પણ સ્થાનિક પોલીસની ગેરહાજરી પર સવાલ ઉઠાવતા આને 'સિક્યોરિટી લેપ્સ' ગણાવી છે.
કોણ છે ડૉ. ફારૂક અબ્દુલ્લા?
ડૉ. ફારૂક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના રાજકારણનું એક અત્યંત પ્રભાવશાળી અને કદાવર વ્યક્તિત્વ છે. તેમનો જન્મ એક મજબૂત રાજકીય વારસામાં થયો હતો; તેઓ જમ્મુ-કાશ્મીરના દિગ્ગજ નેતા અને 'શેર-એ-કાશ્મીર' તરીકે ઓળખાતા શેખ અબ્દુલ્લાના પુત્ર છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, ફારૂક અબ્દુલ્લાએ મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને થોડો સમય ડૉક્ટર તરીકે સેવા પણ આપી હતી, જેના કારણે આજે પણ તેમને માનપૂર્વક 'ડૉક્ટર સાહેબ' તરીકે સંબોધવામાં આવે છે. પિતાના અવસાન બાદ તેમણે નેશનલ કોન્ફરન્સ પાર્ટીની કમાન સંભાળી અને રાજ્યના સક્રિય રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું હતું.
તેમની રાજકીય કારકિર્દી અત્યંત લાંબી અને વ્યૂહાત્મક રહી છે. તેઓ કુલ ત્રણ વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા છે, જેમાં તેમનો પ્રથમ કાર્યકાળ 1982 થી 1984, બીજો 1986 થી 1990 અને ત્રીજો કાર્યકાળ 1996 થી 2002 સુધીનો રહ્યો હતો. માત્ર રાજ્ય જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ તેમનું મહત્વ ઘણું રહ્યું છે. તેઓ મનમોહન સિંહની યુપીએ (UPA) સરકારમાં કેન્દ્રીય ઊર્જા મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હાલમાં, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા રાજ્યના મુખ્યમંત્રી છે, જે અબ્દુલ્લા પરિવારની ત્રીજી પેઢીના શાસનનું પ્રતિનિધિત્વ કરે છે.



















