ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, મનોરંજન જગતમાં શોક
હિન્દી સિનેમાના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 12 એપ્રિલ, 2026ના રોજ 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બોલિવૂડની અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે, આ દરમિયાન અભિનેત્રી અથિયા શેટ્ટી એક મોટી ભૂલને કારણે લોકોના નિશાને આવી ગઈ છે.
શ્રદ્ધાંજલિ આપવામાં અથિયા શેટ્ટીથી થઈ મોટી ગફલત
સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટ મૂકી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તેણે આશાજીના બદલે તેમની મોટી બહેન અને સ્વર્ગસ્થ ગાયિકા લતા મંગેશકરનો ફોટો શેર કર્યો હતો. લતાજીનું નિધન 2022માં થયું હતું, છતાં અથિયાએ તેમને આશાજી સમજીને શ્રદ્ધાંજલિ આપી દીધી.
સોશિયલ મીડિયા પર યુઝર્સે અથિયાને કરી ટ્રોલ, પોસ્ટ કરી ડિલીટ
યુઝર્સે આ ભૂલને તરત જ પકડી પાડી હતી અને અથિયાને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. લોકોએ આ ભૂલને 'ખૂબ જ શરમજનક' ગણાવી હતી. જોકે, ભૂલ સમજાતા અથિયાએ તરત જ તે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને આશા ભોંસલેનો સાચો ફોટો મૂક્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેના સ્ક્રીનશૉટ્સ વાયરલ થઈ ગયા હતા. લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે શું બોલિવૂડ કલાકારોને તેમના જ ઉદ્યોગના દિગ્ગજો વિશે આટલી પણ જાણકારી નથી?
જ્યારે 'ગૂગલ સર્ચ' કરતાં 'ઉતાવળ' વધી જાય!
બોલિવૂડમાં ક્યારેક એવું લાગે છે કે સ્ટાર્સના સ્માર્ટફોન તેમના કરતા વધુ ઝડપથી ચાલે છે. અથિયા શેટ્ટીએ શ્રદ્ધાંજલિ આપવામાં એટલી ઉતાવળ કરી કે ફોટો ચેક કરવાનું જ ભૂલી ગઈ. કદાચ તેને લાગ્યું હશે કે 'દિગ્ગજ ગાયિકા' એટલે લતાજી જ હોય! ઈન્ટરનેટ પર લોકોએ ચપટી લેતા કહ્યું કે, "બેન, ફિલ્ટર બદલવામાં જે સમય આપો છો, એનો 10% સમય જો ફોટો ઓળખવામાં આપ્યો હોત, તો આજે આ 'Truly Embarrassing' ટેગ ન મળ્યું હોત." ખેર, આ તો ડિજિટલ યુગ છે અહીં ભૂલ સુધારવા માટે 'Delete' બટન તો છે, પણ લોકોના 'Screenshot' થી બચવા માટે કોઈ વેક્સિન હજુ સુધી બની નથી!





