બોલિવૂડમાં કપૂર પરિવારને હિન્દી સિનેમાનું 'શાહી પરિવાર' ગણવામાં આવે છે, જેમણે ઇન્ડસ્ટ્રીને એકથી ચઢિયાતા એક કલાકારો આપ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે કપૂર પરિવારનું માત્ર ફિલ્મી જ નહીં, પણ અસલી રાજઘરાણા સાથે પણ એક ખાસ કનેક્શન છે? બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે કપૂર ખાનદાનની એક વહુ સાચે જ એક રાજ્યની રાજકુમારી હતા.
શમ્મી કપૂરના બીજા લગ્ન અને ગુજરાત કનેક્શન
બોલિવૂડના સદાબહાર અને એનર્જેટિક અભિનેતા શમ્મી કપૂરે વર્ષ 1955 માં અભિનેત્રી ગીતા બાલી સાથે લગ્ન કર્યા હતા. જોકે, વર્ષ 1965 માં સ્મોલપોક્સ (શીતળા) ના કારણે ગીતા બાલીનું અકાળે અવસાન થયું હતું. ગીતા બાલીના અવસાન બાદ શમ્મી કપૂર એકલા પડી ગયા હતા અને તેમના બે બાળકો આદિત્ય અને કંચનની જવાબદારી પણ તેમના પર હતી. પરિવારના આગ્રહથી શમ્મી કપૂરે વર્ષ 1969 માં બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો.
શમ્મી કપૂરના આ બીજા લગ્ન ગુજરાતના ભાવનગરના શાહી પરિવારના રાજકુમારી નીલા દેવી ગોહિલ સાથે થયા હતા. નીલા દેવી ભાવનગર રાજ્યના ગોહિલ રાજવંશના વંશજ અજીતસિંહ ગોહિલના પુત્રી હતા. આ રીતે કપૂર પરિવારનું સીધું કનેક્શન ગુજરાતના રાજવી પરિવાર સાથે જોડાયું.
આ પણ વાંચો: સુનીલ ગ્રોવર નદી કિનારે રસ્તા પર સૂતા જોવા મળ્યા | વાયરલ વીડિયોથી ફેન્સ આશ્ચર્યચકિત | Offbeat Stories
સાવકા બાળકો માટે લીધો મોટો નિર્ણય
રાજકુમારી નીલા દેવી જ્યારે લગ્ન કરીને કપૂર પરિવારમાં આવ્યા, ત્યારે તેમણે શમ્મી કપૂરના બંને બાળકોને પોતાના સગા બાળકોની જેમ ઉછેરવાનું નક્કી કર્યું હતું. તેમણે એક ખૂબ જ મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો કે તેઓ ક્યારેય પોતાના બાળકને જન્મ નહીં આપે.
તેમને ડર હતો કે જો તેમનું પોતાનું બાળક થશે, તો કદાચ ગીતા બાલીના બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ વહેંચાઈ જશે અને ભેદભાવ થઈ શકે છે. નીલા દેવીના આ ત્યાગ અને પ્રેમને કારણે શમ્મી કપૂરનું ઘર ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું હતું. બંનેનો આ સાથ શમ્મી કપૂરના અવસાન (વર્ષ 2011) સુધી, એટલે કે આશરે 42 વર્ષ સુધી અતૂટ રહ્યો હતો.





