આજના આધુનિક યુગમાં ખેડૂતો પરંપરાગત પાકોને છોડીને રોકડિયા અને ઔષધીય છોડની ખેતી કરી રહ્યા છે. જેનાથી ખેડૂતોની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આવી જ એક ખેતી છે અશ્વગંધાની...ખેડૂતો અશ્વગંધાની ખેતી કરી ડાંગર, ઘઉં અને મકાઈ જેવા પાકથી 50 ટકા વધુ આવક મેળવી શકે છે. આ જ કારણ છે કે બિહાર અને યુપી સહિતના રાજ્યોના ખેડૂતો હવે અશ્વગંધાની ખેતી તરફ વળ્યા છે.અશ્વગંધા
ઔષધીથી ભરપૂર છે અશ્વગંધા
અશ્વગંધા એક ઔષધીય પાક છે જેમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે. સાથે જ અન્ય પાકોની તુલનામાં અશ્વગંધાના પાકમાં રોગ અને જીવાતનું જોખમ ઓછું હોય છે. અશ્વગંધાનો પાક 6થી 7 મહિના તૈયાર થતો હોય છે.. જેની ખેતી માટે સપ્ટેમ્બર મહિનો ઉત્તમ ગણાય છે. જે જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનામાં તૈયાર થઈ જાય છે.
આરોગ્ય માટે આશીર્વાદ સમાન અશ્વગંધા
ભારતમાં લગભગ 10 હજારથી 11 હજાર હેક્ટરમાં અશ્વગંધાની ખેતી કરવામાં આવે છે. જેમાં દર વર્ષે લગભગ 7 હજારથી 8 હજાર ટનનું ઉત્પાદન મળે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને બિહારના ખેડૂતો અશ્વગંધાની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. જેને જોઈને હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિતના વિસ્તારમાં પણ અશ્વગંધાની ખેતી તરફ ખેડૂતો વળ્યા છે.
અશ્વગંધાની ખેતીમાં આવક અને ખર્ચ
અશ્વગંધાનો પાક 170થી 180 દિવસમાં તૈયાર થાય છે. જેમાં એક હેક્ટરમાં વાવણીનો ખર્ચ 40 હજારથી 50 હજાર જેટલો થતો હોય છે. જ્યારે એક હેક્ટરમાં અશ્વગંધાનું 8થી 10 ક્વિન્ટલ ઉત્પાદન મળે છે. જેમાં એક ક્વિન્ટલની બજારમાં 15 હજાર રૂપિયા કિંમત મળે છે. જેથી એક હેક્ટરમાં અશ્વગંધાની ખેતીથી ખેડૂતો 80 હજારથી 1 લાખ સુધીનો ચોખ્ખો નફો મેળવી શકે છે.





















