અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટ મુદ્દે તીખા નિવેદનો આપ્યા હતા. બંને નેતાઓએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને દેશ તથા ગુજરાતના બજેટ અંગે ચર્ચા કરી હતી. તેઓએ આક્ષેપ કર્યો કે ગુજરાતના બજેટમાં સામાન્ય માણસ માટે કંઈ જ નથી અને બજેટ વેપારીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તેમના મત મુજબ દેશ અને ગુજરાતના બજેટ બનાવનાર લોકો એક જ વિચારસરણી ધરાવે છે.
'પંજાબમાં 90 ટકા લોકોને મફત વીજળી આપવામાં આવે છે'
ભગવંત માને જણાવ્યું હતું કે, વિપક્ષ ભાજપ સાથે મળેલી છે અને સાચો વિરોધ હવે આમ આદમી પાર્ટી જ કરશે. તેમણે કહ્યું કે રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ પરોક્ષ રીતે કર ચૂકવે છે. દિલ્હી ખાતે આપના શાસનમાં કરનો પૈસો લોકોના હિતમાં વપરાયો હોવાથી લોકોને ટેક્સ ચૂકવવો ગમતો હતો. પંજાબમાં 90 ટકા લોકોને મફત વીજળી આપવામાં આવે છે અને વીજળી વિભાગ નુકસાનમાં નથી. ખેડૂતોને દિવસે ખેતરમાં વીજળી આપવામાં આવે છે. ઉપરાંત 80 પ્રકારના મેડિકલ ટેસ્ટ મફત કરાયા છે અને 65 હજાર પરિવારોને 10 લાખ રૂપિયાના મેડિકલ કાર્ડ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે પંજાબના RDFના ફંડ રોકાયા હોવા છતાં રસ્તા બનાવવાના કામ ચાલુ છે અને 19 ટોલ ટેક્સ બંધ કરાયા છે.
'ગુજરાતના બજેટમાં સામાન્ય લોકો માટે કંઈ જ નથી'
અરવિંદ કેજરીવાલે પણ ગુજરાત સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે સામાન્ય માણસનું બજેટ રાજ્યના બજેટ પર આધારિત હોય છે, પરંતુ ગુજરાતના બજેટમાં સામાન્ય લોકો માટે કંઈ જ નથી. તેમણે પ્રશ્ન કર્યો કે 30 વર્ષમાં ભાજપે ગુજરાતમાં શું કર્યું? ખેતી, સ્વાસ્થ્ય, શિક્ષણ અને રસ્તાઓની સ્થિતિ અંગે પણ તેમણે ટીકા કરી. તેમના મુજબ લોકો હવે પરિવર્તન ઇચ્છે છે અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જવાબ આપશે.




















