ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શરૂ કરવામાં આવેલી "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા" હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. આ યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે આગામી 8મી માર્ચે ગાંધીનગર ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે.
સોમનાથથી શરૂ થયેલી યાત્રાને મળ્યું જનસમર્થન
ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યથી શરૂ થયેલી આ ખેડૂત બચાવો યાત્રા સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરી છે. આ પ્રવાસ દરમિયાન ખેડૂતોના પડતર પ્રશ્નો, વીજળી, પાણી અને પાક વીમા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. યાત્રાને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોનું જબરદસ્ત સમર્થન સાંપડ્યું છે.
રામકથા મેદાનમાં ગુંજશે ખેડૂતોનો અવાજ
8 મી માર્ચના રોજ ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનારી આ જનસભામાં અરવિંદ કેજરીવાલ ખેડૂતોને સંબોધિત કરશે. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના અધિકારો માટે અવાજ ઉઠાવવો અને પરિવર્તનનો સંદેશ આપવો છે. જેમાં અરવિંદ કેજરીવાલ સહિત ગુજરાત AAPના દિગ્ગજ નેતાઓ અને હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાશે. અને સોમનાથથી શરૂ થયેલી યાત્રાનું અહીં વિધિવત સમાપન થશે.




















